જામનગર વકીલ મંડળની ચુંટણી આજરોજ યોજવામાં આવી છે, વકિલ મંડળના સભ્યો દ્વારા મતદાનની પ્રક્રિયા કરવામાં આવી હતી, આ વખતે ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી બિનહરીફ થયા છે જયારે પ્રમુખ માટે બે ઉમેદવાર મેદાનમાં હોય જેનો જંગ રહેશે ઉપરાંત કારોબારીમાં ૩ મહિલા અનામત બેઠકો માટે આપોઆપ સભ્યો બિનહરીફ થયા છે. મતદાન સવારથી સાંજ સુધી થશે અને એ પછી મત ગણતરી અને મોડી સાંજે પરિણામ જાહેર કરવામાં આવશે. આજે બપોરે એક વાગ્યા સુધી આશરે ૩૫ ટકા જેટલુ મતદાન નોંધાયુ હતું.
જામનગર વકીલ મંડળની ચુંટણી આજે તા. ૧૯ શુક્રવારે બાર એસો.ના હોલ ખાતે યોજવામાં આવી હતી, વકિલ મંડળના સભ્યો દ્વારા મતદાનની પ્રક્રિયામાં જોડાયા હતા અને મતદાનનો પ્રારંભ કર્યો હતો, સવારથી લઇને સાંજ સુધી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, પ્રમુખ પદના ઉમેદવાર, વર્તમાન પ્રમુખ ભરતભાઇ સુવા અને ભરતસિંહ જાડેજા વચ્ચે સીધો જંગ જામશે, જયારે લાયબ્રેરી મંત્રી માટે જયદેવસિંહ જાડેજા અને હર્ષભાઇ પારેખ, ખજાનચીમાં ચંદ્રીકાબેન ધંધુકીયા અને ચાંદનીબેન પોપટ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે તુંચીરભાઇ રાવલ, મંત્રી મનોજભાઇ ઝવેરી, સહમંત્રી દિપકકુમાર ગરછર બિનહરીફ જાહેર થઇ ચુકયા છે.
મહિલા પ્રતિનિધીઓમાં હર્ષીદાબેન રાઠોડ, રાધાબેન રાવલીયા, ભાવનાબેન સોલંકી, જયારે કારોબારીની ૧૦ બેઠક જેમાંથી ૩૦ ટકા મહિલા અનામત એટલે કે ૩ સીટ બિનહરીફ થઇ હતી, બાકીની ૭ કારોબારી સભ્યો માટે ૧૦ ઉમેદવાર વચ્ચે ચુંટણી જંગ છે જેમાં દિપકભાઇ ભાલારા, રાહુલભાઇ ચૌહાણ, મિતુલભાઇ હરવરા, રઘુવીરસિંહ કંચવા, પંકજભાઇ લહેરૂ, વનરાજભાઇ મકવાણા, અમિતભાઇ પરમાર, ભાવેશભાઇ સોનગ્રા, જયેશભાઇ સુરડીયા અને ખોડીયાભાઇ વાઘેલાનો સમાવેશ થાય છે.
કુલ ૧૨૫૩ જેટલા મતદારો ધરાવતા જામનગરના વકીલ મંડળના હોલમાં આજે સવારે ૯-૩૦ થી ૪ વાગ્યા સુધી ચુંટણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં સીનીયર એડવોકેટો સહિતના સભ્યો જોડાયા હતા, કારોબારીના ૩ સભ્યો માનસીબેન, દિપાલીબેન અને ગીતાબેન બિનહરીફ થયા છે, બાર એસોની ચુંટણીની આ પ્રક્રિયામાં ચુંટણી કમિશ્નર તરીકે એડવોકેટ કે.ડી. ચૌહાણ, મદદનીશ કમિશ્નર તરીકે મિહીરભાઇ નંદા અને અન્ય દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે વકિલ મંડળની ચુંટણીમાં ઉત્સાહભેર વકીલોએ ભાગ લીધો હતો, ૧૨૩૨માંથી ૩૫૪થી વધુ મત બપોરના ૧ વાગ્યા સુધી પડયા હોય આથી આશરે ૩૫ ટકા જેટલુ મતદાન થયાનું જાણવા મળ્યું છે.