એસટી તંત્ર મુસાફરોની ક્રૂર મશ્કરી કરવાનું બંધ કરે, રાજકોટ એસટી બસપોર્ટમાં કાળઝાળ ગરમીમાં પાણીના પરબો બંધ કરી દેવાયા

  • June 03, 2025 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દરરોજ ૧૨૦૦થી વધુ બસ અને ૫૦ હજારથી વધુ મુસાફરોની અવરજવર ધરાવતા રાજકોટ એસટી બસપોર્ટ ઉપર હાલ વેકેશનના ટ્રાફિક અને કાળઝાળ ગરમી વચ્ચે અકળ કારણોસર પાણીના પરબ બંધ કરવામાં આવતા મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને મિનરલ વોટર ખરીદવા મજબુર બન્યા હતા. દરમિયાન આ મામલે નિગમના એમ.ડી.સુધી રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.


એસટી તંત્ર મુસાફરોની ક્રૂર મશ્કરી કરવાનું બંધ કરે

દરમિયાન આ મામલે નિગમના મેનેજિંગ ડિરેક્ટરને કરાયેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, પાણીના પરબો બંધ હતા ત્યારે એક પણ પરબ ઉપર પાણીનું પરબ બંધ છે એ પ્રકારના બોર્ડ લગાવ્યા ન્હોતા. પાણીનું એક ટીપું આવતું ન્હોતું મુસાફરો પાણીના પરબ પાસે જઈ તરસ્યા પરત ફરતા હતા. આ રીતે એસ.ટી તંત્ર મુસાફરોની ક્રૂર મશ્કરી કરવાનું બંધ કરે. જો પાણીનું પરબ બંધ રાખવામાં આવે તો તે પરબ પર પીવાના પાણીની નાંદ અથવા પાણીના કેરબા મુકવા અને તંત્ર મુકવા ન માંગતું હોય તો દાતાઓની મદદથી પાણીની વ્યવસ્થા કરવામાં આવશે એવું લેખિત આપવા છતાં એ રજૂઆતને પણ કચરાપેટીમાં પધરાવતા વધુ એક વખત પાણીના પરબો બંધ કરી દેવામાં આવ્યા હતા. 


પાણી વેચનારા પોતાના મળતીયાઓને ખટાવી રહ્યા હોવાનો ખેલ 

રાજકોટ બસ પોર્ટ ઉપર મેઇન્ટેનન્સના નામે પાણીના તમામ પરબો બંધ કરી દેવામાં આવે છે. જેમાં વ્યવસ્થિત મોટું ષડયંત્ર ચાલતું હોવાની આશંકા સેવાઈ રહી છે કારણ કે રાજકોટ એસટી ડિવિઝનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર એજન્સી પાણી વેચનારા પોતાના મળતીયાઓને ખટાવી રહ્યા હોવાનો ખેલ હોય તેવું જણાય છે. મુસાફરો મિનરલ વોટર ખરીદવા મજબૂર બને એ માટે સમયાંતરે પાણીની યોગ્ય વ્યવસ્થા કર્યા વગર મેઇન્ટેનન્સ બહાના હેઠળ તમામ પરબો બંધ કરી દેવામાં આવે જે પગલે મુસાફરોને બસ ઉપડવાની ઉતાવળમાં ફરજિયાત મિનરલ વોટર ખરીદવું પડે છે.


ગઇકાલે હજારો મુસાફરોને જ્યારે પીવાના પાણી માટે વલખાં મારવા પડ્યા ત્યારે ખામીયુક્ત સેવા બદલ એસટી બસ પોર્ટના સીસી ફૂટેજ મેળવી કસુરવાન જણાયે પેનલ્ટી કરી કડક પગલાં ભરવા મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા માંગ કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application