BREAKING NEWS

ગોંડલમાં જવેલર્સ પેઢી ચલાવતા પિતા- પુત્ર ગ્રાહકોના લાખો રૂપિયા લઇ પલાયન

  • February 21, 2026 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગોંડલમાં ભગવતી જવેલર્સ પેઢી કાચી પડી છે. વેપારી પિતા-પુત્ર ગ્રાહકોના લાખો રૂપિયા લઈ દુકાનને તાળા મારી ફરાર થઈ જતાં ગોંડલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ગોંડલના પ્રૌઢના રૂ.૫.૩૦ લાખ, અન્ય એક ગ્રાહકના ૫.૪૦ લાખ અને ખોખળદળના ગ્રાહકના ૨.૩૦ લાખ દાગીના બનાવવાના નામે લઈ પિતા-પુત્ર પલાયન થઇ ગયા હતાં.


બનાવ અંગે ગોંડલના કડવાણીનગર રામ મંદીર પાસે રહેતાં જીતેશભાઈ જેન્તીભાઈ પરમાર (ઉ.વ.૫૪) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગોંડલમાં મોટી બજારમાં આવેલ ભગવતી જવેલર્સના વિજય મનુ રાણપરા તેમજ તેમનો પુત્ર આનંદ રાણપરા (રહે. બંને ગોંડલ) ના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ કડીયાકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. ગઇ તા.૨૫/૦૯/૨૦૨૫ ના તેમના દિકરા રૂષીતભાઈના લગ્ન હતાં અને જે લગ્નામાં દિકરાની વહુ માટે સોનાના દાગીના કરાવવાના હોય જેથી તેઓ પત્ની સાથે ગોંડલમા આવેલ ભગવતી જવેલર્સમાં સોનુ પસંદ કરવા માટે ગયા હતા. ત્યાં આ ભગવતી જવેલર્સના માલીક વિજય રાણપરા તથા તેમનો દિકરા આનંદ બન્ને ત્યા દુકાનમાં બેસતા હોય અને ફરીયાદીએ સોનુ પસંદ કર્યું હતું. તેમા એક સોનાની હાંસડી તથા બે મંગલ સુત્ર એમ કુલ ૭.૫ તોલા દાગીના નક્કી કરેલ તેના રૂ.૫.૩૦ લાખ થતા હતા.


જેથી ત્યારે રૂ.૧.૫૦ લાખ રોકડા જમા કરાવેલ અને બીજે દિવસે તા.૨૬/૦૯ ના સોનાના બાકી રહેલ રકમમાં રૂ.૫૦ હજાર જમા કરાવેલ એમ કુલ રૂ.૨ લાખ જમા કરાવેલ હતા. જેમા દગીનાના રૂ.૩.૩૦ લાખ ઘટતા હોય જે ગઇ તા.૨૮/૦૯ ના જમા કરેલ હતા. જેથી એક સોનાની હાંસડી તથા બે મંગલ સુત્ર જેનો વજન- ૭ તોલા ૫ ગ્રામ સોનુ જેના કુલ રૂ.૫.૩૦ લાખ આ વિજય રાણપરા તથા તેમનો દિકરો આનંદને જમા કરાવેલ હતા.


બંને પિતા-પુત્ર સોનાની હાંસડી તથા સોનાના બે મંગલ સુત્ર તૈયાર કરીને આપતા ન હોય અને અવાર નવાર કહેવા છતા વાયદાઓ આપતા હતાં. ગઇ તા.૨૪/૧૧ ના બંને આરોપી પોતાની દુકાન બંધ કરીને ક્યાક જતા રહેલ હતાં. જેથી ફરીયાદી સાથે સોની પિતા પુત્રએ વિશ્વાસમા રાખી સોનાના રૂ.૫.૩૦ લાખ લઈ વિશ્વાસઘાત કરેલ છે.


તેમજ તેઓને જાણવા મળેલ કે, આ પિતા-પુત્રએ મળીને ગોંડલમાં રહેતા સાગરભાઈ નરશીભાઇ માલવીયાના ૪ તોલા ૪૩ મીલી ગ્રામ રૂ.૫ ૬૦ લાખનુ તથા ખોખડદડ ગામના કિશોરભાઈ જીવાભાઈ પરમારે એક સોનાની હાંસડી, ચાંદીના સડા તથા ચાંદીનો કંદોરો તથા સોનાનુ મંગળ સુત્ર અને સોનાના પાટલા નાખેલ હોય અને આ સોના તથા ચાંદીના વસ્તુ લેવા માટે આપેલ રોકડ રૂ.૨.૩૦ લાખ લઇ જતા રહેલ હોવાનું પણ સામે આવ્યું છે. જે અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ પિતા- પુત્રની શોધખોળ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application