બળધોઇના યુવાનને બાબરાના શખસે પૈસા ત્રણ ગણા કરી દેવાની લાલચ આપતાં ચાર શખસો પાસેથી તોતીંગ વ્યાજે નાણાં લઇ રોકાણ કર્યું: એક રૂપિયો વળતન મળ્યું અને પઠાણી ઉઘરાણી શરૂ થતા હીજરત કરવી પડી
જસદણના બળધોઈ ગામે રહેતો યુવાન રોકાણ કરી નાણાં ત્રણ ગણા નાણાની લાલચમાં વ્યાજના વિષચક્રમાં ફસાયો હતો. અંતે તેને ઘર છોડી હીજરત કરવાની ફરજ પડી હતી. અંતે યુવાને જસદણ પોલીસ મથકમાં પાંચ શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
જસદણના બળધોઈ ગામે રહેતા ભાર્ગવદાસ શીવરામ ગોંડલીયા (ઉવ.૩૦)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સંજય ધીરૂભાઈ ઠુંમર(રહે.રાયપર, બાબરા, અમરેલી), નાનજી પોલાભાઈ પરમાર(રહે.દેવળીયા, ભાડવા), કિશન શિલદાસ ગોંડલીયા (રહે. ગઢડીયા જસ, જસદણ), રવિદાસ પ્રવિણદાસ હરિયાણી (રહે. ભાડલા, વેરાવળ) અને કમલેશ જાની (રહે. જસદણ) ના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૪ ઓગષ્ટ મહિનામા તે ફાયનાન્સનુ કામ કરતો હતો. ત્યા તેની મુલાકાત સંજયભાઈ ધીરૂભાઇ ઠુંમર સાથે થઇ હતી. બાદ સંજય સાથે રોજ મુલાકાત થતી હતી. બાદ સંજયે કહ્યું હતું કે, હું એક કંપનીમા રોકાણ કરૂ છું, જેમા મેં રોકેલા નાણાથી ત્રણ ગણા નાણા મને દર મહિને મળે છે, જેથી તારે પણ વધારે રૂપીયા કમાવા હોય તો મને નાણા આપ હું તે નાણા કંપનીમા રોકીને તેને ત્રણ ગણા કરી આપીશ.
બાદમાં યુવાને નાનજીભાઈ પોલાભાઈ પરમાર પાસેથી રૂપીયા બે લાખ માસિક 6 ટકા વ્યાજે લીધા હતા. બાદ ચાર લાખની મુડી ન થતી હોય જેથી પરીચીત કિશનભાઇ શીલદાસ ગોંડલીયા પાસેથી રૂ. ૨૦,૦૦૦ વ્યાજે લીધા હતા. જેને દર મહિને રૂપીયા ૭,૦૦૦ દેવાનુ નક્કી થયુ હતું. બાદ હજુ રૂપીયા ઘટતા રવીદાસ પ્રવિણદાસ હરીયાણી પાસેથી રૂ. ૫૫ હજાર વ્યાજે લીધા હતાં. જેની સામે દર મહિને રૂ.૭,૦૦૦ દેવાનુ નક્કી થયેલ. બાદ યુવાને જસદણ ખાતે રહેતા કમલેશભાઈ જાની પાસેથી મે રૂ. 50 હજાર માસિક 20 હજાર વ્યાજ ચૂકવવાની શરતે લીધા હતા.
યુવાને જણાવ્યું હતું કે, તેણે રૂ. 3.25 લાખ વ્યાજે લઇ એકત્રિત કર્યા હતા જેમાં રૂ. 25 હજાર નાખી રૂ. 3.50 લાખ જસદણ સંજયભાઈ ઠુંમરને આપ્યા હતા. બાદ યુવાન આ ચારેયને સમયસર વ્યાજ ચૂકવતો હતો. એક મહિનો પુરો થતા મે સંજયને નફાના રૂપીયા બાબતે પુછતા તેણે કહેલ કે, હજુ પ્રોફીટ આવેલ નથી એટલે એકાદ મહિનાની વાર લાગશે. બીજો મહિનો પુરો થતા સંજય પાસે રૂપીયા માગતા તેણે થોડા સમયમા આવી જશે તેમ વાયદો આપેલ હતો. વધુ બે મહિના સંજયે ફક્ત વાયદાઓ જ આપ્યા હતા. બીજી તરફ વ્યાજખોરો પૈસાની ઉઘરાણી કરવા લાગેલ હતા. દરમિયાન સંજયે નફા પેટે એક પણ રૂપિયો નહિ આપતાં યુવાને કહ્યું હતું કે, મારા રોકાણના ૩.૫૦ લાખ મને પરત આપી દે, મારે વધારે રૂપીયા નથી કમાવા. પરંતુ સંજયે મને પૈસા પરત આપેલ હતા. દરમિયાન નાનજીભાઈ પરમારને યુવાને રૂપીયા ૧૨,૦૦૦ લેખે ૧૮ મહિના સુધી રૂ. 2.16 લાખ, કિશનભાઇ શીલદાસ ગોંડલીયાને રૂ. ૭,૦૦૦ લેખે ૭ મહિના સુધી રૂ. 49 હજાર, રવીદાસ પ્રવિણદાસ હરીયાણીને રૂ. 7 હજાર લેખે નવ મહિનામાં રૂ. 63 હજાર, કમલેશભાઈ જાનીને રૂ. 20 હજાર લેખે આઠ મહિના સુધી રૂ. 1.60 લાખ વ્યાજ પેટે ચુકવણી કરી હતી.
જે બાદ પૈસાની ઉઘરાણી કરી કમલેશ જાનીએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી બેંક એકાઉન્ટના બે કોરા ચેક પડાવી લીધેલ હતા. બાદ ચારેય શખ્સો પૈસાની સતત ઉઘરાણી કરતા હતા. વ્યાજખોરોની ધમકીથી કંટાળી યુવાનને વતનથી હીજરત કરવાની ફરજ પડી હતી. તેમ છતાં વ્યાજખોરો તેના પિતાને ફોન કરી પઠાણી ઉઘરાણી કરતા અંતે આ ફરિયાદ નોંધાવી છે.