જંગલેશ્વરના વિક્રમ ચોકમાં જાહેરમાં ગાળો ન બોલવા બાબતે શખ્સોને ટપારતા યુવક પર છરી પાઇપથી હુમલો કર્યો હતો જયારે યુવાનને છોડાવવા વચ્ચે પડેલા બે પડોશીઓ ઉપર પણ છરી લઈને શખ્સ તૂટી પડતા ત્રણેયને ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં એકની હાલત ગંભીર જણાઈ રહી છે. બનાવમાં હુમલો કરનાર પાંચ શખ્સો સામે હત્યાના પ્રયાસ હેઠળ પોલીસે ગુનો નોંધ્યો છે. જયારે સામાપક્ષે પણ બે યુવાનને ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
શહેરના જંગલેશ્વર રોડ પર રાધાકૃષ્ણનગર શેરી નંબર 19/20ના ખૂણે રહેતા અને ઘડિયાળ ફીટીંગનું ઘરે બેઠા કામ કરતા ચેતનભાઈ ધીરુભાઈ ચાવડા (ઉ.વ.27)એ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં વિશ્વજીત પ્રભાતભાઈ જડુ, અરમાન મહેબુબભાઈ અજમેરી અને બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રીના અગ્યારેક વાગ્યે હું ગોવિંદનગર મારુતીહોલ ખાતેની એક્ટિવા લઈને નીકળી ઘરે જતો હતો ત્યારે રાધાકૃષ્ણ નગર પાસે પહોંચતા વિશ્વજીત જડુ, અરમાન અજમેરી અને બે અજાણ્યા શખસો હાથમાં હથિયાર લઈને ઉભા હતા અને મોટેથી બોલતા હતા કે અહીં હવે શેરીમાં આપણે બેસવાની ના કોણ પાડે છે, અને જો ના પાડે તો છરીના ઘોદા મારી દેવા છે. આથી મેં તેની પાસે જઈ શેરીમાં ગાળો ન બોલવા બાબતે કહેતા વિશ્વજીતને ગમ્યું નહતું અને હાથમાં રહેલી છરીનો ઘા મારી દેતા પેટના ભાગે ઇજા થઇ હતી. બીજો ઘા મારવા જતા હાથ પકડી લીધો હતો. તેની સાથેન અરમાન અને બે અજાણ્યા શખ્સો મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા અને ઢીકાપાટુનો મારમાર્યો હતો. દેકારો થતા પડોશી પ્રભાતભાઈ કાળુભાઈ લાવડીયા (ઉ.વ.40) અને અરવિંદભાઈ રમેશભાઈ ચૌહાણ (ઉ.વ.34)ના છોડાવવા વચ્ચે પડતા તેને પણ વિશ્વજીતએ છરીના ઘા મારી દેતા બંનેને ઇજા થઇ હતી. માથાકૂટ થતા માણસો ભેગા થઇ ગયા હતા અને કોઈએ 108ને જાણ કરતા અમને ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં પ્રભાતભાઈની હાલત ગંભીર હોવાનું તબીબે જણાવ્યું હતું.
બનાવના પગલે ભક્તિનગર પોલીસે પાંચેય શખ્સો સામે બીએનએસની કલમ 115(2), 118(1), 109(1), 351(3), 352(5) સહિત હેઠળ ગુનો નોંધી ધરપકડન તજવીજ હાથ ધરી છે. જયારે સામાપક્ષે પણ વિશ્વજીત પ્રભાતભાઈ જળુ (ઉ.વ.21) અને અરમાન અનવરભાઈ અજમેરી (ઉ.વ.21) બંને પણ પોતાને વિક્રમ સહિતના અજાણ્યાએ તલવારથી હુમલો કરી ઇજા કરી હોવાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.