ગુજરાતમાં પહેલીવાર બની રહ્યું છે CNG ભઠ્ઠી સાથેનું કૂતરાઓનું સ્મશાન, જાણો શું સુવિધા હશે

  • April 14, 2025 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં પહેલીવાર અમદાવાદમાં કૂતરાઓનું સીએનજી ભઠ્ઠી સાથેનું સ્મશાન બની રહ્યું છે. શહેરના દાણીલીમડામાં આવેલા કરૂણા મંદિર ખાતે આ સ્મશાન બની રહ્યું છે. એએમસી દ્વારા 30 લાખના ખર્ચે સીએનજી ભઠ્ઠી સાથેનું સ્મશાનનું કામ ચાલે છે. અહીં શહેરમાં મત કૂતરાઓની અંતિમક્રિયા થશે. સીએનજી ભઠ્ઠીમાં એકસાથે બે મૃત કૂતરાની અંતિમક્રિયા કરી શકાશે. જે લોકો પોતાના પાલતું કૂતરાની અંતિમક્રિયા કરવા માગે તેઓ માટે આગામી દિવસોમાં ચાર્જ પણ નક્કી કરવામાં આવશે. 


અમદાવાદ કોર્પોરેશને આ માટે પેટ ડોગના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. શહેરમાં અંદાજે 50 હજાર પેટ ડોગ્સ છે. જેમાં અત્યારસુધીમાં 5500 પેટ ડોગના રજિસ્ટ્રેશન કોર્પોરેશનમાં નોંધાયા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં સ્ટ્રીટ ડોગ પણ આવેલા છે.


ડોગ સ્મશાન બનાવવાને લઈને સૂચના આપવામાં આવી હતી

મળતી માહિતી મુજબ, છેલ્લા બે વર્ષથી અમદાવાદ શહેરમાં કૂતરાઓ માટેનું સ્મશાન બનાવવા માટેની પ્રક્રિયા અંગે વિચારણા હાથ ધરવામાં આવી રહી હતી. શહેરથી દૂર ગ્યાસપુર નજીક ડોગ સ્મશાન બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ કૂતરાનું સ્મશાન બનાવવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા ડોગ સ્મશાન બનાવવાને લઈને સૂચના આપવામાં આવી હતી. જેના પગલે દાણીલીમડા ખાતે આવેલા કરુણા મંદિરમાં જ્યાં ડોગ રિહેબ સેન્ટર બનાવવામાં આવ્યું છે, ત્યાં જ ડોગ સ્મશાન બનાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.


80 કિલોની ક્ષમતા ધરાવતું અંતિમક્રિયા માટેનું મશીન

સીએનજી ભઠ્ઠીવાળું ડોગ સ્મશાન બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું. રૂ. 30 લાખના ખર્ચે ડોગ સ્મશાન બનાવવામાં આવી રહ્યું છે. જે માટેનું નવું અત્યાધુનિક સીએનજી ભઠ્ઠીવાળું મશીન ઊભું કરવામાં આવશે. 80 કિલોની ક્ષમતા ધરાવતું અંતિમક્રિયા માટેનું મશીન બનાવવામાં આવશે. જેમાં એકસાથે બે ડોગની અંતિમક્રિયા થઈ શકશે. નાગરિકોને પોતાના પેટ ડોગ માટે ખૂબ જ લાગણી હોય છે. ઘરમાં પરિવારના સભ્ય તરીકે પેટ ડોગને રાખતા હોય છે ત્યારે તેની અંતિમક્રિયા હવે ખૂબ જ સન્માન સાથે થાય તેવી આખી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.


રોજના અંદાજે 40થી 50 જેટલાં મૃત પશુઓના નિકાલ માટેની ફરિયાદો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રોજના અંદાજે 40થી 50 જેટલાં મૃત પશુઓના નિકાલ માટેની ફરિયાદો મળે છે. જેમાં અંદાજે 8થી 10 જેટલા કુતરાઓનો સમાવેશ થાય છે. પ્રાણીઓના સન્માનનીય રીતે અંતિમ સંસ્કાર થાય તેના માટે કોર્પોરેશન દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે જે અંતર્ગત ડોગ સ્મશાન બનાવવામાં આવ્યું છે.


શહેરમાં કોઈપણ જગ્યાએ જો પશુ મૃત્યુ પામે છે તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેનો યોગ્ય નિકાલ કરવામાં આવતો હોય છે. નાગરિકોને શહેરમાં ક્યાંય પણ મૃત પશુ જોવા મળે તો મ્યુનિસિપલ કોર્પોરેશનના ફરિયાદ નંબર 155303 ઉપર ફોન કરી અને પશુના નિકાલ માટેની ફરિયાદ નોંધાવી શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની પશુ નિકાલ કરતી ટીમ સ્થળ પરથી મૃત પશુને લઈ જઈ તેનો યોગ્ય રીતે નિકાલ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application