વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી જામનગર મુલાકાત સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ
નાયબ મુખ્યમંત્રીએ લાલ બંગલા સર્કલ ખાતે કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું
નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાનની મુલાકાત જામનગરવાસીઓ માટે યાદગાર બની રહે તે પ્રકારનું સુદ્રઢ આયોજન કરવા તંત્રને માર્ગદર્શન આપ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી જામનગર મુલાકાતને અનુલક્ષીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કર્યા બાદ નાયબ મુખ્યમંત્રીએ લાલ બંગલા સર્કલ ખાતેના કાર્યક્રમ સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. તેમણે સ્થળની ભૌગોલિક સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાઓની ચકાસણી કરી નાગરિકોની સુવિધા તેમજ પ્રોટોકોલ જળવાઈ રહે તે અંગે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
બેઠક દરમિયાન જિલ્લા કલેકટર પી.બી. પંડ્યાએ સમગ્ર તૈયારીઓ તથા આયોજનને લગતી રૂપરેખા રજૂ કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ તંત્ર દ્વારા હાથ ધરાયેલ તૈયારીઓની સરાહના કરી હતી અને જણાવ્યું હતું કે, વડાપ્રધાનની મુલાકાત યાદગાર બની રહે તે પ્રકારના વિવિધ આયોજનો હાથ ધરવા જોઈએ. તેમણે બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, નાગરિકો માટેની અન્ય આનુષંગિક સુવિધાઓ તેમજ વિવિધ જનલક્ષી અભિયાનો અસરકારક રીતે હાથ ધરવા પર ભાર મૂક્યો હતો.
આ સમીક્ષા બેઠક દરમિયાન શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજી ચાવડા, દિવ્યેશ અકબરી, રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન. મોદી, પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તેમજ અગ્રણી સર્વ ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મીરાણી, બીનાબેન કોઠારી સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.