સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જામનગરમાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ના સંદેશ સાથે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો
મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વન સ્ટોપ સેન્ટર ખાતે આકર્ષક રંગોળી અને દીપ પ્રગટાવી બેટી બચાવનો દિવ્ય સંકલ્પ લેવાયો
જામનગર તા.૧૮, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ ઉજવાઈ રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર અંતર્ગત કાર્યરત વન સ્ટોપ સેન્ટર ખાતે “આશીર્વાદના દીવડા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજનાના અધિકૃત લોગો આધારિત એક અત્યંત આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી હતી. આ રંગોળી સમક્ષ દીપ પ્રગટાવીને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સશક્તિકરણ માટે આશીર્વાદરૂપી કામના વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી, DHEW ના પ્રતિનિધિઓ, વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ, સ્થાનિક મહિલાઓ તેમજ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓએ ઉત્સાહભેર હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.