BREAKING NEWS

જામનગર: સેવા સંકલ્પ અભિયાન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમ ખાતે વડીલો સાથે સ્નેહમિલન અને વસ્ત્ર પ્રસાદી વિતરણ કાર્યક્રમ યોજાયો

  • September 18, 2026 04:36 PM 

જામનગર: સેવા સંકલ્પ અભિયાન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમ ખાતે વડીલો સાથે સ્નેહમિલન અને વસ્ત્ર પ્રસાદી વિતરણ કાર્યક્રમ યોજાયો

ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વડીલોને સોમનાથ મંદિરની વસ્ત્ર પ્રસાદી અર્પણ કરાઈ

જામનગર તા.18, ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જામનગર તાલુકાના વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમ ખાતે વડીલો માટે સ્નેહમિલન તથા સોમનાથ મંદિરની પવિત્ર વસ્ત્ર પ્રસાદી વિતરણ કાર્યક્રમનું ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન આપતાં વડાપ્રધાનના જન્મદિનની વિશેષતા તથા વડીલો પ્રત્યેની માનવતાવાદી લાગણી અને સન્માનની ભાવનાને ઉજાગર કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વાત્સલ્ય ધામના વડીલો સાથે આત્મીય સંવાદ સાધી તેમના જીવનના અનુભવો અને ભાવનાઓ વિશે જાણકારી મેળવી હતી.સાથે જ કાર્યક્રમ દરમિયાન સોમનાથ મંદિરના ભગવાન તથા માતાજીની પવિત્ર વસ્ત્ર પ્રસાદી મહાનુભાવોના હસ્તે વડીલોને અર્પણ કરવામાં આવી હતી. વડીલો પ્રત્યેનો આદર માત્ર એક પ્રસંગ પૂરતો સીમિત ન રહેતાં, સમાજમાં તેમની પ્રતિ સંવેદના, સન્માન અને આત્મીયતાનો સંદેશ વધુ મજબૂત બને તેવો ઉદ્દેશ્ય આ કાર્યક્રમ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વડીલો માટે ચાલી રહેલી સેવાકીય કામગીરી અને પ્રવૃત્તિઓ અંગે સમીક્ષા કરી હતી. વડીલોના ચહેરા પરનું અનન્ય સ્મિત અને તેમના અમૂલ્ય આશીર્વાદ સાથે આ સમગ્ર પ્રસંગ સ્નેહ, સેવા અને સંસ્કારની યાદગાર ક્ષણ બની રહ્યો હતો.
​​​​​​​
​​​​​​​આ પ્રસંગે આગેવાન હરપાલસિંહ ચુડાસમા, ગિરિરાજસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, જામનગર તાલુકા પંચાયતની સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન પ્રવિણભાઈ ચૌહાણ, સરપંચ ઘનશ્યામસિંહ જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મહિલા અને બાળ અધિકારી તથા DHEW સ્ટાફની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News