જામનગર: પતરા માર્કેટમાં નશાકારક ચોકલેટનું વેચાણ કરતો દુકાનદાર ઝબ્બે
એલસી-૮ વિસ્તારમાં એસઓજીનો દરોડો : ૧૦૪૦ નશીલી ચોકલેટ કબ્જે
એલસી-૮ કોલોની સામે પતરા માર્કેટમાં નશાકારક ચોકલેટનું વેચાણ કરી રહેલા આરબલુસના એક શખ્સને એસઓજીની ટુકડીએ પકડી પાડયો હતો અને ૧૦૪૦ નશીલી ચોકલેટોનો મુદામાલ કબ્જે કર્યો હતો, અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ વિસ્તારમાં નશાકારક ચોકલેટો મળી આવી હતી.
જામનગર એસપી ડો. રવિ મોહન સૈની દ્વારા નશાના કારોબારને નેસ્ત નાબુદ કરવા અને આ પ્રકારની અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો વિરુઘ્ધ અસરકારક કામગીરી કરવા સુચના કરતા નો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન અંતર્ગત એસઓજીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. નવા નવા નુસખાઓ અપનાવીને માંગ મુજબ વેચાણ નશો કરવા માટેના પદાર્થોનું વેચાણ કરવામાં આવતુ હોય દરમ્યાન એસઓજી ઇન્ચાર્જ પીઆઇ ચૌધરી, પીએસઆઇ ઝેરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના વિરેન્દ્રસિંહ તથા બળભદ્રસિંહ અને મયુરરાજસિંહને બાતમી મળેલ કે લાલપુર પંથકના એલસી-૮ પતરા માર્કેટમાં દુકાનમાં આરબલુસ ગામનો ભીખુભા અમરસંગ જાડેજા નામનો શખ્સ નશાકારક ચોકલેટ રાખીને તેનુ વેચાણ કરે છે જેથી આ જગ્યાએ રેઇડ પાડી દુકાનમાંથી તરંગ મદનમોદક વટ્ટી આયુર્વેદ ઔષધી નામની નશાકારક ચોકલેટ મળી આવી હતી, ભીખુભા જાડેજાને પકડી તેની પાસેથી ૧૦૪૦ નંગ નશાકારક ચોકલેટનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.