ખંભાળીયા નજીક પુરપાટ ઝડપે આવેલી કારે બાઇકને હડફેટે લેતા એકફોર્સના જવાનનું મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ જવા પામી છે, આ અંગે કારચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.
ખંભાળિયા - જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર પ્લેટિનમ હોટલ નજીકથી જામનગર તરફ પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. ૦૫ જે.ક્યુ. ૨૮૮૫ નંબરના ટાટા જેસ્ટ મોટરકારના ચાલકે આ માર્ગ પર જે.કે. ૦૨ બી.એસ. ૩૫૮૦ નંબરના મોટરસાયકલ પર બેસીને ખંભાળિયા તરફ દૂધ તથા શાકભાજી લેવા માટે જઈ રહેલા એરફોર્સના જવાન સોહમસિંગ સુખદેવસિંહને પાછળથી ઠોકરે લેતા તેમને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણ ભારતીય સેનાના નાયબ સુબેદાર બાલાસાહેબ બાપુ ચૌધરી (ઉ.વ. ૫૦, રહે. મૂળ સોલાપુર - મહારાષ્ટ્ર, હાલ જામનગર) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.