જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમોના બેનર ગાયબ
સ્થાનિક લોકોમાં ભારે રોષ, અજાણ્યા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યોજાનારા ધાર્મિક કાર્યક્રમને લઈને લગાવવામાં આવેલા બેનરો અજાણ્યા તત્વો દ્વારા કાઢી લઈ જવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓ અને શિવભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર તથા ગજાનન ગ્રુપ, પટેલ કોલોની દ્વારા શ્રાવણ માસ નિમિત્તે શ્રી આશુતોષ મહાદેવની પધરામણી પટેલ કોલોની ખાતે કરવામાં આવી રહી છે. આ અંતર્ગત શ્રી જડેશ્વર મહાદેવ મંદિરના જાહેર રોડ પર ભક્તિમય કાર્યક્રમ અંગે લોકોને જાણકારી મળે તે માટે સંસ્થા દ્વારા બેનરો લગાવવામાં આવ્યા હતા.
જોકે, બેનરો લગાવ્યાના બીજા જ દિવસે અજાણ્યા તત્વો બેનરો કાઢીને પોતાની સાથે લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધાર્મિક કાર્યક્રમની જાણકારી લોકો સુધી પહોંચે તે હેતુથી લગાવવામાં આવેલા બેનરો ગાયબ થતાં શિવભક્તોમાં નારાજગી ફેલાઈ છે.
સ્થાનિક લોકો અને આયોજકો દ્વારા બેનરો દૂર કરનાર તત્વોની ઓળખ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડતી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવા પણ માંગ કરવામાં આવી છે.