દ્વારકાના જગતમંદિરે મનીન્દરજીત સિંઘ બિટ્ટાએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે કરી પ્રાર્થના
ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા પહોંચ્યા હતા. દર્શન બાદ તેમણે મીડિયા સાથે વાતચીત દરમિયાન દેશની સુરક્ષા, વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને ચાલી રહેલા આંદોલનો અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા.
એમ એસ બિટ્ટાએ જણાવ્યું કે તેઓ નિયમિત રીતે દ્વારકાધીશના દર્શન કરવા આવે છે અને હંમેશા દેશની એકતા, અખંડિતતા, સરહદોની સુરક્ષા તથા સશસ્ત્ર દળોના જવાનોની સલામતી માટે પ્રાર્થના કરે છે. તેમણે કહ્યું કે ભારતે વિશ્વસ્તરે જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે તે વધુ મજબૂત બને તેવી તેમની કામના છે.
આંદોલનના મુદ્દે તેમણે કહ્યું કે લોકશાહીમાં દરેક નાગરિકને શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર છે, પરંતુ કોઈપણ સંગઠન અથવા તત્વો આંદોલનકારીઓનો ઉપયોગ પોતાના રાજકીય હેતુઓ માટે કરશે તો તે યોગ્ય નથી. તેમણે કેટલાક રાજકીય પક્ષો પર આડકતરી ટીકા કરતાં જણાવ્યું કે દેશની સુરક્ષા અને રાષ્ટ્રીય હિત સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન થવું જોઈએ.
વડાપ્રધાન અંગે કરવામાં આવતી વ્યક્તિગત ટિપ્પણીઓનો ઉલ્લેખ કરતાં બિટ્ટાએ કહ્યું કે જાહેર જીવનમાં મર્યાદા જળવાઈ રહેવી જોઈએ અને દેશને નબળું પાડવાના પ્રયાસોથી દૂર રહેવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદ અને નક્સલવાદ સામે નોંધપાત્ર કામગીરી થઈ છે અને દેશ ફરીથી આવી શક્તિઓને પ્રોત્સાહન આપે તેવી પરિસ્થિતિ ઊભી ન થવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે એમ એસ બિટ્ટા અગાઉ પંજાબમાં બિઅંતસિંહ સરકારમાં મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે તેમજ ના કાર્યકાળ દરમિયાન ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પણ રહી ચૂક્યા હતા.