જામનગર: ધ્રોલના રોજીયા ગામના મૃત્યુ પામેલા બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટીવ
સારવાર અર્થે આવેલા બાળકે ગણતરીની કલાકોમાં દમ તોડયો તો
જી.જી.માં સારવાર લઇ રહેલા બંને બાળકની તબિયતમાં સુધારો
ધ્રોલ તાલુકાના રોજીયા ગામના મૃત્યુ પામેલા બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા એક વર્ષના બાળકે ગણતરીની કલાકોમાં દમ તોડયો હતો. હાલમાં જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બંને બાળકની તબિયતમાં નોંધપાત્ર સુધારો હોવાનું તબીબોએ જણાવ્યું છે.
જામનગર શહેર-જિલ્લાના ૩ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩ બાળક મળી હાલારમાં સોમવાર સુધી ચાંદીપુરાના ૬ શંકાસ્પદ કેસ નોંધાયા હતાં. આ તમામ બાળકોને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ દરમ્યાન જામનગરની ૨ વર્ષની બાળકી, લાંબા ગામના ૨ વર્ષના બાળક, કલ્યાણપુરના ૯ મહીનાના બાળક અને દેવભૂમિ દ્વારકામાં રહેતી ૬ વર્ષની બાળકીનું મૃત્યુ નિપજયું હતું. જો કે, મૃત્યુ પામેલા તમામ ચાર અને જામનગર તથા વસઇ આમરાના સારવારમાં રહેલા બંને બાળક મળી તમામ ૬ શંકસ્પદ કેસમાં ચાંદીપુરાના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. ેઆટલું જ નહીં વસઇ આમરા અને જામનગરના બાળક કે જે જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય બંનેની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે. જો કે, હજુ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયા નથી.
ગઇકાલે ધ્રોલ તાલુકાના રોજીયા ગામના એક વર્ષના બાળકને ભારે તાવ, આંચકી જેવા ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ગણતરીની કલાકોમાં આ બાળકે દમ તોડી દીધો હતો. જો કે, બાળકના લોહીના સીરમ તથા અન્ય નમૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. આ બાળકનો ચાંદીપુરાનોે રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. આથી આરોગ્ય તંત્રએ રાહતનો દમ લીધો છે.