આરટીઇનો પ્રથમ રાઉન્ડ જાહેર, જામનગરમાં ખાનગી શાળાઓમાં ૧૮૮૭ બેઠક પર બાળકોને પ્રવેશ
૭ દીવસમાં વાલીઓએ પ્રવેશ પ્રક્રીયા પૂર્ણ કરવાની રહેશે: બીજો રાઉન્ડ હવે જાહેર થશે
જામનગર સહીત રાજયભરમાં આરટીઇનો પ્રથમ રાઉન્ડ જાહેર થયો છે. જે અંતર્ગત શહેર-જિલ્લાની ખાનગી શાળાઓમાં ૧૮૮૭ બેઠક પર બાળકોને પ્રવેશ અપાયો છે. શહેરમાં તમામ ૮૦૫ અને જિલ્લામાં ૧૦૯૫માંથી ૧૦૮૨ બેઠક પર એડમીશન મંજૂર થયા છે. ૭ દીવસમાં વાલીઓએ પ્રવેશ પ્રક્રીયા પૂર્ણ કરવાની રહેશે. આગામી દીવસોમાં બીજો રાઉન્ડ જાહેર થશે.
આરટીઇ એટલે કે રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં ધો.૧ માં વિનામૂલ્યે પ્રવેશ આપવા માટેના ફોર્મ ૪ થી ૧૭ એપ્રીલ સુધી ઓનલાઇન ભરાયા હતાં. ફોર્મ ભરવાની મુદતમાં વધારો પણ કરવામાં આવ્યો હતો.
સમયમર્યાદા ૫ૂર્ણ થતા જામનગરમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હસ્તકની ૧૨૦ ખાનગી શાળામાં ૮૦૫ બેઠક માટે કુલ ૩૧૫૪ ફોર્મ મંજૂર થયા હતાં. જયારે જિલ્લા પંચાયત હસ્તકની ૨૧૩ ખાનગી શાળામાં ૧૦૯૫ બેઠક માટે ૧૮૯૫ ફોર્મ મંજૂર થયા હતાં. ગઇકાલે રાજયભરમાં આરટીઇનો પ્રથમ રાઉન્ડ જાહેર કરાયો હતો. જેમાં જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હસ્તકની ૧૨૦ ખાનગી શાળાની ૮૦૫ બેઠક સામે તમામ બેઠક પર એડમીશન અપાયા છે. જયારે જિલ્લા પંચાયત હસ્તકની ૨૧૩ ખાનગી શાળાની ૧૦૯૫ બેઠક સામે ૧૦૮૨ બેઠક પર બાળકોને પ્રવેશ અપાયા છે. એટલે કે ૧૩ બેઠક ખાલી રહી છે. આમ શહેર-જિલ્લામાં કુલ ૧૯૦૦ બેઠક સામે ૧૮૮૭ બેઠક પર બાળકોને પ્રવેશ અપાયા છે. પ્રથમ રાઉન્ડ જાહેર થયો છે ત્યારે જે બાળકોને પ્રવેશ મળ્યો છે તેના વાલીઓએ પ્રવેશ પ્રક્રીયા ૭ દીવસમાં પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ બાકી રહેલી જગ્યાઓ માટે આગામી દીવસોમાં બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે.