'હર ઘર તિરંગા' અભિયાન
જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાએ નિવાસસ્થાને તિરંગો લહેરાવી સક્રિય સહભાગીતા નોંધાવી
જિલ્લાના તમામ નાગરિકોને પણ 'હર ઘર તિરંગા’ અભિયાનમાં ઉત્સાહભેર સહભાગી બનવા જિલ્લા કલેક્ટરશ્રીનું આહ્વાન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં તારીખ ૯ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાન અત્યંત ઉત્સાહ અને દેશભક્તિના વાતાવરણ વચ્ચે યોજાઈ રહ્યું છે. દેશભક્તિની આ મહાઝુંબેશ અંતર્ગત જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાએ પણ સહપરિવાર પોતાના નિવાસસ્થાનની અગાસી પર પૂર્ણ આદર અને ગૌરવ સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવીને આ રાષ્ટ્રીય અભિયાનમાં સહભાગી થઈ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ વર્ષે દેશના ૮૦મા સ્વતંત્રતા પર્વ અને રાષ્ટ્રીય ભાવનાના પ્રતીક સમાન 'વંદે માતરમ' ગાનના ૧૫૦ વર્ષની ઉજવણીની ખાસ થીમ પર આ અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં ૭૦ લાખથી વધુ ઘરો પર નાગરિકો દ્વારા સન્માનપૂર્વક તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે.
આ સાથે જ, ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા છેવાડાના ગામડાંઓથી લઈને રાજ્યના મોટા શહેરો સુધીના તમામ જિલ્લાઓમાં વ્યાપક જનભાગીદારી સાથે 'તિરંગા યાત્રા'ઓનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંગઠનો અને ગ્રામજનો અભૂતપૂર્વ ઉત્સાહ સાથે આ યાત્રાઓમાં સક્રિયપણે જોડાઈ રહ્યા છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ તમામ નાગરિકોને સ્વેચ્છાએ અને ગૌરવપૂર્વક પોતાના ઘરો, વેપારી પ્રતિષ્ઠાનો અને કાર્યાલયો પર તિરંગો લહેરાવી આ અભિયાનમાં સહભાગી બનવા અને દેશની એકતા તથા અખંડિતતાનો સંદેશ વહેતો કરવા આહ્વાન કર્યું હતું.સાથે જ આજે તા.૧૪ ઓગસ્ટના રોજ સાંજે ૫.૦૦ કલાકે રણમલ તળાવ ગેટ નં.૧ થી રણજીત નગર, સરદાર પટેલની પ્રતિમા સુધી યોજાનાર ભવ્ય તિરંગા યાત્રામાં પણ ઉત્સાહભેર સહભાગી થવા અનુરોધ કર્યો હતો.