ખંભાળિયા નજીક ટેન્કર પલ્ટી મારવાના પ્રકરણમાં ચાલક સામે ગુનો
ખંભાળિયા - પોરબંદર માર્ગ પર મંગળવારે રાત્રિના સમયે એક ઇંધણ ભરેલું એક ટેન્કર પલટી ખાઈ ગયું હતું. આ પ્રકરણમાં અન્ય એક ટ્રકના ચાલક સામે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા તાલુકાના સીમાણી કાલાવડ ગામે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જયમલજી ધીરુભા જાડેજા (ઉ.વ. ૩૭)એ અહીંની પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ મંગળવાર તા. ૨૧ ના રોજ સાંજના સમયે તેઓ પોરબંદરના આદિત્યાણાથી લાઈમ સ્ટોન ડટ ભરીને જામનગર માર્ગ પર સિક્કા ડી.સી.સી.માં ખાલી કરવા જઈ રહ્યા હતા. ત્યારે માર્ગમાં ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી ગામ નજીક પહોંચતા આ માર્ગ પર જઈ રહેલા જી.જે. ૧૮ બી.ડબલ્યુ. ૬૮૯૪ નંબરના એક ઇંધણ ભરેલા ટેન્કર આડે ઢોર આવતા આ ટેન્કરના ચાલકે કાવું મારતા ટેન્કર પલટી ખાઈ ગયું હતું. જેના કારણે આ ટેન્કર ફરિયાદી જયમલજી જાડેજાના ડમ્પર સાથે અથડાયું હતું.
આ અકસ્માત બાદ ટેન્કરમાં રહેલું ઈંધણ લીકેજ થઈને રોડ પર ઢોળાવવા લાગ્યું હતું. આ પછી જાણ થતાં અહીંનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયર બ્રિગેડની ટીમ સાથે પોલીસ તંત્રએ રસ્તો બંધ કરાવી, જરૂરી વ્યવસ્થાઓ કરી હતી. આ અકસ્માતમાં ટેન્કર ચાલકને ઈજાઓ થવા પામી હતી. આ ફરિયાદ સંદર્ભે ખંભાળિયા પોલીસે ટેન્કરના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.