ખંભાળિયા નજીક સર્જાયેલા પીકઅપ વાનના ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ચાલક સામે ગુનો
એક યુવાન તથા એક તરુણ મિત્રોના મોત નીપજ્યા હતા
ખંભાળિયા-જામનગર હાઈવે પર મંગળવારે મધ્યરાત્રીએ એક ટ્રકની પાછળ પીકઅપ વાનના સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે ના મોત નીપજ્યા હતા. પ્રકરણ સંદર્ભે વાડીનાર મરીન પોલીસ મથકમાં ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.
જીવલેણ અકસ્માતના આ બનાવ અંગે મૂળ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીશ તથા હાલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા કૌશિકભાઈ ગોવિંદભાઈ પરમાર નામના ૨૮ વર્ષના યુવાને જી.જે. ૩૭ વી. ૯૯૮૮ નંબરના એક ટ્રકના ચાલક સામે વાડીનાર મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જણાવાયા મુજબ ફરિયાદી કૌશિકભાઈ પરમાર તેમની સાથે કમલેશ કાશીનાથ ટુડુ (ઉ.વ. ૨૧, રહે. હાલ મેઘપર) અને અર્જુન ખેમલાલ મહિલાંગ (ઉ.વ. ૧૪, રહે. મેઘપર) ને સાથે લઈને તેમના જી.જે. ૩૭ ટી. ૬૮૨૨ નંબરના પીકઅપ વાનમાં મંગળવારે રાત્રિના સમયે માંગરોળથી મેઘપર જઈ રહ્યા હતા. ત્યારે ખંભાળિયા જામનગર હાઈવે પર અત્રેથી આશરે ૧૨ કિલોમીટર દૂર આરાધના ધામ પાસે પહોંચતા આ માર્ગ પર જી.જે. ૩૭ વી. ૯૯૮૮ નંબરના એક ટ્રકના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી, એકાએક બ્રેક મારતા ફરિયાદીનું પીકઅપ વાહન ઉપરોક્ત ટ્રકની પાછળના ભાગે અથડાઈ પડ્યું હતું.
આના કારણે પીકઅપ વાહનમાં જઈ રહેલા મિત્રો કમલેશભાઈ અને અર્જુનના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે પીકઅપ વાનના ચાલક કૌશિકભાઈ પરમારને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર પ્રકરણ અંગે વાડીનાર મરીન પોલીસે ટ્રકના ચાલક સામે બીએનએસ અને એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.