જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા મહાવીરનગર વિસ્તારમાં ગટરના કુંડીમાંથી નવજાત શિશુ મૃત અવસ્થામાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. દરમ્યાનમાં આ અંગે અજાણી મહિલા સામે ગુનો દાખલ કરીને તપાસ લંબાવી છે.
હર્ષદમીલની ચાલી રોડ, મહાવીરનગર એપાર્ટમેન્ટની ગટરની કુંડીમાં શનિવારે નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા સીટી-એ ડીવીઝનનો કાફલો દોડી જઇ તપાસ હાથ ધરી હતી, અજાણી મહિલાએ નવજાત શિશુને ત્યજી દીધા બાદ ત્યાંથી પલાયન કરી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગટરના ઢાંકણામાંથી શિશુનો મૃતદેહ મળી આવતાં આસપાસના લોકોના ટોળાં એકઠાં થઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાનમાં સીટી-એ ડીવીઝનમાં કોઇ અજાણી મહિલાએ બાળકને જન્મ આપી જન્મ છુપાવવા આશરે ચાર થી પાંચ માસનું ભૃણ ત્યજી દઇને નાશી ગઇ હતી એવી વિગતોના આધારે અજાણી મહિલા સામે ગુનો નોંધીને આગળની તપાસ પીએસઆઇ ડી.જી. રામાનુજ ચલાવી રહયા છે.