જામનગર: ધુંવાવ નજીક ખાનગી બસે બુલેટને ઠોકર મારતા એરફોર્સના કર્મી અને પત્નીનું મોત
અકસ્માતના કારણે થોડો સમય ટ્રાફિક જામ : ઘેરા શોકની લાગણી : બસચાલક સામે ફરીયાદ
જામનગર-રાજકોટ હાઇવે ધુંવાવ ગામ પાસે ગઇકાલે સાંજે ટ્રાવલ્સની બસ અને બુલેટ બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એરફોર્સના કર્મી અને તેમના પત્નીના કરૂણ મૃત્યુ નિપજતા શોકનુ મોજુ ફરી વળ્યુ હતું, બનાવની જાણ થતા પોલીસ ટુકડી સ્થ્ળ પર દોડી ગઇ હતી દરમ્યાન આ બનાવ અંગે ખાનગી બસના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગર એરફોર્સ ખાતે ફરજ બજાવતા ગુરજીંદરસીંઘ ગુરમીતસીંઘ નામના જવાન અને તેમના પત્ની લવલીન કોર બંને ગઇકાલે બુલેટ બાઇક નં. પીબી૪૨ઇ-૫૪૭૭ લઇને એરફોર્સથી બહાર ફરવા જતા હતા દરમ્યાન રાજકોટ -જામનગર હાઇવે ધુંવાવ ગામ પાસે પહોચ્યા હતા ત્યારે સામેથી ટ્રાવેલ્સ બસ નં. જીજે૧૦ટીવાય-૪૫૮૧ના ચાલકે પોતાની બસ પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી બુલેટ સાથે સામેથી ભટકાડીને અકસ્માત સર્જયો હતો.
આ અકસ્માતમાં ગુરજીંદરસીંઘ તથા તેમના પત્ની લવલીનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા પહોચતા બંનેના મોત નિપજયા હતા, બનાવની જાણ થતા પંચકોશી-એ ડીવીઝનનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અકસ્માતના કારણે થોડો સમય ટ્રાફિક જામ થતા પોલીસ દ્વારા વાહન વ્યવહાર પુર્વવત કરાવવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે બિહારના પટના જીલ્લાના વતની હાલ જામનગર એરફોર્સ ખાતે રહેતા નોકરી કરતા નાગેન્દ્રકુમાર ક્રિષ્નાપ્રસાદસિંહ દ્વારા પંચકોશી-એમાં વરૂડી ટ્રાવેલ્સ બસ નં. જીજે૧૦ટીવાય-૪૫૮૧ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ પરમાર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.