BREAKING NEWS

જામનગર : જોડિયા તાલુકાના હડિયાણા ખાતે બાગાયતી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત માર્ગદર્શન શિબિર યોજાઈ

  • July 30, 2026 05:44 PM 

જામનગર : જોડિયા તાલુકાના હડિયાણા ખાતે બાગાયતી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત માર્ગદર્શન શિબિર યોજાઈ

૧૦૦થી વધુ બાગાયત ખેડૂતોએ ઉપસ્થિતિ રહી આધુનિક ખેતી પદ્ધતિઓ, રોગ નિયંત્રણ અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે બાગાયત ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતો માટે બાગાયતી ખાતાની યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીના વ્યાપક પ્રચાર-પ્રસાર અર્થે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં વિસ્તારના ૧૦૦થી વધુ બાગાયતી ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.જેમાં ખેડૂતોને બાગાયતી પાકોના આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉત્પાદન, પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ, ગુણવત્તા સુધારણા તથા મૂલ્યવર્ધન દ્વારા ખેતીમાંથી વધુ આવક મેળવવા અંગે માર્ગદર્શિત કરાયા હતા.

આ પ્રસંગે કે.વી.કે. જામનગરના સીનિયર સાયન્ટિસ્ટ અને હેડ ડૉ. કે. પી. બારૈયા, મદદનીશ બાગાયત નિયામક ડૉ. વી. એ. સુરેલા તથા બાગાયત અધિકારી શ્રી વાય. એ. ડેર દ્વારા ખેડૂતોને બાગાયત ક્ષેત્રના વિકાસ, આધુનિક ખેતી પદ્ધતિઓ, પ્રાકૃતિક ખેતીના મહત્વ તથા વિવિધ સરકારી યોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં મદદનીશ બાગાયત નિયામક શ્રી એ. પી. પટેલ, મદદનીશ બાગાયત નિયામક શ્રી એ. જી. સિણોજીયા, બાગાયત અધિકારી શ્રી એસ. ડી. રાઠોડ અને બાગાયત નિરીક્ષક શ્રીમતી મિતલબેન સહિતના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

શિબિર દરમિયાન ખેડૂતોને ફળ, શાકભાજી અને અન્ય બાગાયતી પાકોમાં આધુનિક ખેતી પદ્ધતિઓ, પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો, સુધારેલી જાતો, ગુણવત્તાયુક્ત રોપા, સિંચાઈ વ્યવસ્થાપન, પોષણ વ્યવસ્થાપન, જીવાત અને રોગ નિયંત્રણ, પાક સંરક્ષણ તેમજ બાગાયતી પાકોના મૂલ્યવર્ધન અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કૃષિ વિભાગ તથા 'આત્મા' ના સ્ટાફ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની ફળદ્રુપતા જાળવવા, ખેતી ખર્ચ ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ ખેતીને પ્રોત્સાહન આપવા અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી તેમજ ખેતી અને બાગાયત ક્ષેત્રને લગતી વિવિધ સરકારી યોજનાઓ, સહાય અને સબસિડીનો લાભ લેવા અનુરોધ કરાયો હતો.

કાર્યક્રમના અંતે ખેડૂતો દ્વારા બાગાયત અને પ્રાકૃતિક ખેતી સંબંધિત રજૂ કરાયેલા વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓનું ઉપસ્થિત અધિકારીઓ તથા નિષ્ણાતો દ્વારા સ્થળ પર જ યોગ્ય નિવારણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકના અંતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તથા વૈજ્ઞાનિક અભિગમ અપનાવી બાગાયત પાકોની ઉત્પાદકતા અને ગુણવત્તા વધારવા, ખેતી ખર્ચ ઘટાડવા તેમજ બાગાયત ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application