BREAKING NEWS

જામનગર-અમૃતસર કોરિડોરથી વિકાસને ગતિ મળશે: મંત્રી અર્જુન મોઢવાડીયા

  • August 15, 2026 06:48 PM 

જામનગર-અમૃતસર કોરિડોરથી વિકાસને ગતિ મળશે: મંત્રી અર્જુન મોઢવાડીયા

ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન-બાન અને શાન સાથે ઉજવણી કરાઈ

૮૦ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વન અને પર્યાવરણ તથા પ્રભારીમંત્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી: જિલ્લાના વિકાસ માટે રૂ.૨૫ લાખનોે ચેક  અર્પણ કર્યો

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જિલ્લા કક્ષાના ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.

મંત્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કર્યું હતું. ત્યારબાદ કલેક્ટર પી.બી.પંડયા અને જિલ્લા પોલીસ વડા ડો.રવિમોહન સૈની સાથે વિવિધ ૯ જેટલી પ્લાટૂન પરેડનું જેમાં પુરુષ પોલીસ પ્લાટૂન, મહિલા પોલીસ પ્લાટૂન, હથિયારધારી હોમગાર્ડ, બિનહથિયારધારી હોમગાર્ડ, સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ, એનસીસી પ્લાટૂન, ડોગ સ્કવોર્ડ, માઉન્ટેડ યુનિટ, પોલીસ બેન્ડ વિભાગનું નિરીક્ષણ કર્યું હતું. 

મંત્રીએ જામનગરવાસીઓને ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ૧૭ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જે હરિયાળા અને સ્વસ્થ ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. ૨૪મી કોમનવેલ્થ ગેમ્સના આયોજનનું ગૌરવ ભારતને અને ખાસ કરીને ગુજરાતને પ્રાપ્ત થયું છે. આ માત્ર ગુજરાત માટે જ નહીં, સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિત વિવિધ કૃષિ ઉત્પાદનોની મોટા પાયે ખરીદી કરવામાં આવી છે.

દેશના કુલ વેટલેન્ડ વિસ્તારમાં નોંધપાત્ર હિસ્સો ગુજરાતમાં આવેલો છે. રાજ્યમાં આવેલા મહત્વના વેટલેન્ડ વિસ્તારોને માત્ર પર્યાવરણીય દૃષ્ટિએ જ નહીં પરંતુ પક્ષી અભયારણ્ય અને પર્યટન સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવ્યા છે. સમગ્ર વિશ્વમાં એશિયાટિક સિંહો માત્ર બે જ વિસ્તારોમાં જોવા મળે છે  એક આફ્રિકા અને બીજું ગુજરાત. ગીરના સિંહો ગુજરાતની આગવી ઓળખ છે. સિંહ સંરક્ષણ માટે રાજ્ય સરકારે લાંબા સમયથી સતત અને અસરકારક પ્રયાસો કર્યા છે, જેના કારણે આજે સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગીર ઉપરાંત હવે બરડામાં પણ સિંહોની વસાહતો વિકસતી જોવા મળી રહી છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે.

જામનગર માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ઔદ્યોગિક નકશા પર આગવું સ્થાન ધરાવે છે. પેટ્રોકેમિકલ, રિફાઈનરી, બંદર અને અન્ય અનેક ઉદ્યોગોના કારણે જામનગર હજારો પરિવારોને રોજગારી આપી રહ્યું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રાજકોટ, મોરબી અને જામનગરને આગામી વિકાસના મહત્વપૂર્ણ કેન્દ્રો તરીકે આગળ વધારવાની દિશામાં માર્ગદર્શન આપ્યું છે.જામનગરનું બંદર, ઔદ્યોગિક માળખું અને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ રાજ્યના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આજે જામનગરનું નામ માત્ર ગુજરાત કે ભારત પૂરતું મર્યાદિત નથી, પરંતુ વિશ્વના ઔદ્યોગિક નકશા પર ગૌરવપૂર્ણ રીતે અંકિત થયું છે. વાડીનાર વિસ્તારમાં શિપ રિપેરિંગ ક્લસ્ટર અને પોરબંદર વિસ્તારમાં શિપ બિલ્ડિંગ ક્લસ્ટરને પ્રાથમિક મંજૂરી મળી છે. આ બંને પ્રોજેક્ટ્સના અમલીકરણથી હજારો કરોડ રૂપિયાનું રોકાણ આવશે અને મોટી સંખ્યામાં રોજગારીની નવી તકો સર્જાશે.

રાજકોટ,જામનગરદ્વારકા, રાજકોટસોમનાથ અને અન્ય મહત્વપૂર્ણ માર્ગો પર પણ રેલવે સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.ક દરેક બાળકને શિક્ષણનો અધિકાર મળે અને તે પોતાના સપનાઓ સાકાર કરી શકે તે માટે સરકાર સતત કાર્યરત છે. જે બાળકો કોઈ કારણસર અભ્યાસ અધૂરો છોડીને શાળાથી દૂર થઈ ગયા છે, તેમને ફરીથી શિક્ષણની મુખ્યધારામાં જોડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ગુજરાતનું અંબાજી ધામ આજે ભવ્ય અંબાજી કોરિડોરના કારણે વિશ્વસ્તરીય યાત્રાધામ તરીકે વિકસી રહ્યું છે. આગામી સમયમાં શક્તિ કોરિડોર જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ દ્વારા આ પવિત્ર ધામને વધુ સુવિધાસભર અને આકર્ષક બનાવવામાં આવશે. પાવાગઢ, સોમનાથ, દ્વારકા અને અન્ય ધાર્મિક સ્થળોના વિકાસથી રાજ્યમાં આધ્યાત્મિક પ્રવાસનને નવી ઊંચાઈ મળી છે. 

કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું મંત્રીએ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ મેળવનાર વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જામનગર જિલ્લાના વિકાસ માટે મંત્રીએ રૂ.૨૫ લાખની રકમનો ચેક કલેક્ટર પી.બી.પંડ્યાને અર્પણ કર્યો હતો. કાર્યક્રમમાં વિવિધ ૬ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને લગત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
​​​​​​​
​​​​​​​આ ઉજવણીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ  રંજનબેન જીવાણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, પ્રાંત અધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું  સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application