દ્વારકા: જન્માષ્ટમી ઉત્સવ-૨૦૨૬ના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
દ્વારકા ખાતે આગામી તા.૦૪ સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી ઉત્સવ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.
આ તકે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે નાગરિકોને કોઈપણ અગવડતા ન પડે તેમજ ટ્રાફિક, વાહન પાર્કિંગ વ્યવસ્થા, હેલ્પ ડેસ્ક ઉભા કરવા, વીજ પુરવઠો, સ્વચ્છતા, પીવાના પાણી સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચત કરવા માટે જણાવ્યું હતું. ઉપરાંત કાયદો અને વ્યવસ્થા તથા મંદિર આસપાસ બેરીકેટિંગ કરવા સહિત તમામ આનુષંગિક વ્યવસ્થાઓ ચકાસી લેવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.જોશી, નિવાસી અધિક કલેકટર એમ.વી.દેસાઇ, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી હિમાંશુ ચૌહાણ, નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઊપસ્થિત રહ્યા હતા.