↵નવતર પહેલ, જામનગર મહાપાલિકાના નગરસેવકો અને અધિકારીઓની મીટીંગ
આયોજન: લોક સમસ્યા અને પ્રશ્ર્નોનું ઝડપથી નિરાકણ આવે તે માટે મનપાના નવનિયુકત પદાધિકારીઓનો આવકારદાયક અભિગમ
જામનગર મહાનગરપાલીકામાં નવતર પહેલ અંતર્ગત નગરસેવકો અને અધિકારીઓની મીટીંગ મળી હતી. લોક સમસ્યા અને પ્રશ્ર્નોનું ઝડપથી નિરાકરણ આવે તે માટે મનપાના નવનિયુકત પદાધિકારીઓનો આ અભિગમ આવકારદાયક રહ્યો છે. જામનગર મહાનગરપાલીકાના મેયર મોનીકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઇ ડેર, સ્ટેન્ડીંગક કમીટીના ચેરમેન ધીરેનકુમાર મોનાણી, શાસકપક્ષના નેતા અમરભાઇ મોદી, દંડક પ્રવીણાબેન રૂપડીયા દ્વારા મનપામાં એક નવતર પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત પદાધિકારીઓ દ્વારા શનિવારના મહાનગરપાલીકાના નગરસેવકો અને અધિકારીઓની મીટીંગનું આયોજન સ્ટેન્ડીંગ કમીટી હોલમાં કરવામાં આવ્યુું હતું. આ મીટીંગમાં પાંચેય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ક્રમાનુસાર એક પછી એક વોર્ડના નગરસેવકો અને અધિકારીઓની વચ્ચે ચર્ચા-વિચારણા થઇ હતી. મીટીંગમાં નગરસેવકોએ પોતાના વોર્ડના પાણી, ગટર, સફાઇ સહીતના પ્રશ્ર્નોની રજૂઆતો તથા લોક ફરિયાદો રજૂ કરી હતી. આ મીટીંગનો હેતુ નગરસેવકો અને અધિકારીઓ વચ્ચેનો સેતુ વધુ મજબૂત બને તથા શહેરના વોર્ડમાં લોકોના જે પ્રશ્ર્નો અને સમસ્યા હોય તેનું નિરાકરણ ઝડપથી થાય તે હતો. મીટીંગમાં સીટી ઇજનેર ભાવેશ જાની તથા મનપાની અન્ય સંબધિત શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.