મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જામનગર આઈ.ટી.આઈ.ની મુલાકાત લઈ વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી
વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલાં ૧૫ જેટલાં પ્રોજેક્ટ્સ નિહાળી મંત્રીએ કૌશલ્યને બિરદાવ્યું
વિદ્યાર્થીઓના કૌશલ્ય વર્ધન માટે 'ટેકનો કોન્સેપટ્સ' દ્વારા ભેટ અપાયેલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું મંત્રીએ લોકાર્પણ કર્યું
રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આઈ.ટી.આઈ. જામનગરની મુલાકાત લઇ સંસ્થાના વિવિધ વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી તેમજ ત્યાં ચાલતી શૈક્ષણિક અને ટેકનિકલ પ્રવૃત્તિઓની ઝીણવટભરી માહિતી મેળવી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીએ આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓ દ્વારા રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે તેવાં તૈયાર કરવામાં આવેલ ૧૫ જેટલાં વિભિન્ન મોડેલ્સ અને પ્રોજેક્ટ્સનું પ્રદર્શન નિહાળ્યું હતું. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને તકનીકી સુઝબુઝ જોઈને મંત્રીએ તેમના કૌશલ્યની મુક્ત મને સરાહના કરી તેઓને પ્રોત્સાહિત કર્યા હતા.
વિદ્યાર્થીઓ વધુ કુશળતા સાથે આધુનિક અભ્યાસ કરી શકે તેવા હેતુથી 'ટેકનો કોન્સેપટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રા. લી.' દ્વારા આઈ.ટી.આઈ.ને ભેટ સ્વરૂપે આપવામાં આવેલ ઇલેક્ટ્રિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ સિસ્ટમનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, મંત્રીએ સંસ્થામાં કાર્યરત વહિકલ લેબ અને ઓટોમોબાઇલ વર્કશોપની પ્રત્યક્ષ મુલાકાત લઈને ત્યાં ઉપલબ્ધ સાધન-સુવિધાઓ અને તાલીમ પદ્ધતિઓ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના આચાર્ય આર.એસ. ત્રિવેદી, જે.આર. શાહ, ફોરમેન, સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરઓ તથા આઈ.ટી.આઈ.નો સ્ટાફ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.