જામનગર તાલુકામાં રૂ.૨૫૫ લાખના ખર્ચે રોડ રીસર્ફેસિંગ અને માઇનોર બ્રિજની કામગીરી પૂર્ણ કરાઈ
માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા નારણપર-નાઘુના રોડ અને ચંદ્રગા-કરાણા બ્રિજનું કામ પૂર્ણ કરાતાં ગ્રામજનોને ચોમાસામાં પણ સુરક્ષિત અવરજવરની સુવિધા મળશે
જામનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ પંચાયત, જામનગર દ્વારા તાલુકાના મુખ્ય રસ્તાઓ અને પુલના કામો સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે. રૂ. ૨૫૫ લાખથી વધુના ખર્ચે પૂર્ણ થયેલા આ વિકાસ કાર્યોથી સ્થાનિક ગ્રામજનો માટે અવરજવર વધુ સુગમ અને સુરક્ષિત બની છે.
જેમાં નારણપર-નાઘુના રોડની રૂ.૧૩૫ લાખના ખર્ચે રિસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.જામનગર તાલુકામાં આવેલ ૩.૩૦ કિલોમીટર લંબાઈ ધરાવતો નારણપર-નાઘુના રોડ, જે લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતો, તેને રાજ્ય સરકારની મંજૂરી અનુસાર પુનઃસુધારવામાં આવ્યો છે. આ માર્ગના રિસર્ફેસિંગ તથા ડામરકામ માટે રૂ. ૧૩૫.૦૦ લાખની રકમ ફાળવવામાં આવી હતી.માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી પૂર્ણ કરાતા સ્થાનિક ગ્રામજનો તેમજ વાહનચાલકો માટે અવરજવર વધુ સરળ અને સુવિધાજનક બની છે.
સાથે જ ચંદ્રગા-કરાણા રોડ પર માઇનોર બ્રિજનું રૂ. ૧૨૦.૦૦ લાખના ખર્ચે નિર્માણ કાર્ય પૂર્ણ કરાયું છે.જામનગર તાલુકાના ચંદ્રગા થી કરાણા ગામ તરફ જતા રોડ પર જૂનો કોઝવે આવેલ હતો, જ્યાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાના કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સાહસ કરવો પડતો હતો. આ સમસ્યાના કાયમી નિરાકરણ અર્થે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા વિગતવાર સ્થળ તપાસ કરી ૧૦ મીટરના ૩ ગાળા ધરાવતા નવા માઇનોર બ્રિજ માટે દરખાસ્ત કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૨૦.૦૦ લાખની રકમનો જોબ નંબર ફાળવાતાં, વિભાગે ત્વરિત નકશા-અંદાજો તૈયાર કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી અને વર્ક ઓર્ડર આપી બ્રિજનું નિર્માણ કામ સમયસર પૂર્ણ કરાવ્યું છે. આ બ્રિજના નિર્માણથી ખાસ કરીને ચોમાસા દરમિયાન બંને ગામો વચ્ચે માર્ગ કનેક્ટિવિટી સુદ્રઢ બનશે અને સ્થાનિકોને સુરક્ષિત અવરજવરની સુવિધા મળશે.