માવઠાથી પાયમાલ થતાં હાલારના ખેડૂતો માટે વળતર ચૂકવવા સાંસદે લખ્યો પત્ર
માવઠાની મારથી જામનગર અને દેવભૂમિ દ્વારકા તથા મોરબી જિલ્લામાં સમાવિષ્ટ હાલારના ખેડૂતો પાયમાલની કગાર પર પહોંચી ગયા છે ત્યારે સાંસદ પૂનમબેન માડમ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણીને પત્ર લખીને હાલારના ખેડૂતોને માવઠાના કારણે વ્યાપક નુકશાની પહોંચી હોવાની રજૂઆત કરાઇ છે અને તાત્કાલિક ખેડૂતોને આર્થિક પેકેજ આપવાની વિનંતી કરાઇ છે.
પત્ર લખ્યું છે કે, તાજેતરમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડેલ કમોસમી ભારે વરસાદની સાથે મારા ૧૨-જામનગર સંસદીય મતવિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જીલ્લાના આમરણ (ચોવીસી) વિસ્તારમાં ગત નવરાત્રી સમયે અને તાજેતરમાં પડેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર પાક પલળી જઈ નિષ્ફળ ગયેલ છે તેમજ ખેતરોમાં ઉભા પાકને પણ ખૂબ જ નુકશાન થયેલ છે. આ કમોસમી વરસાદના કારણે મોટા ભાગના ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ ગયેલ છે, જેનાથી ખેડૂતોને ખૂબ જ નુકશાની થયેલ છે.
મારા સંસદીય મતવિસ્તારમાં રાજયનો સૌથી વધુ લાંબો દરીયાકાંઠો આવેલ છે અને આ વિસ્તારમાં મુખ્ય પાક મગફળી અને કપાસ છે તદુપરાંત અન્ય પાકોને પણ માહે-સપ્ટેમ્બર-૨૦૨૫ તેમજ ચાલુ માસમાં તા.૨૫/૧૦/૨૫ થી આવેલ સતત કમોસમી વરસાદના કારણે ભારે નુકશાન થયેલ છે તેમજ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલ હોય અને પશુઓ માટેના સુકા થાસ ચારા પણ પલળીને નાશ પામેલ છે, જેના કારણે ખેડૂતોનું આર્થિક બજેટ ખોરવાઈ ગયેલ છે. સબબ હાલના કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકશાની અંગનો સર્વે કરાવી ખેડૂતોને થયેલ પાક નુકશાની માટે ખાસ આર્થિક રાહત પેકેજ તાત્કાલીક જાહેર કરવા મારી ભલામણ સહ વિનંતી છે.