જામનગરના ગોકુલનગરમાં રાજપુત યુવાનની હત્યા
છરીના ઘા ઝીંકી દેતા સારવારમાં દમ તોડયો : હુમલાનો બનાવ હત્યામાં પલટાયો : મૃતકના ભાઇને માર માર્યો : મહિલાઓ સહિતના સાત સામે ફરીયાદ
જામનગર શહેરમાં ટુંકાગાળામાં હત્યાનો ચોથો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે, અહીંના ગોકુલનગર વિસ્તારમાં રાત્રીના સુમારે રાજપુત યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવતા લોહીલુહાણ હાલતમાં જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જયાં મોત નિપજતા હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો, બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ અને હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો, નજીવી બાબતમાં યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યુ હોવાની વિગતો સામે આવી છે, આ મામલે મહિલાઓ સહિતના આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસને આગળ ધપાવવામાં આવી છે.
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં અવાર નવાર માથાકુટના બનાવો સામે આવે છે અને જાહેરમાં મારામારીના વિડીયો વાયરલ થાય છે, ગઇકાલે મોડી સાંજે વધુ એક માથાકુટ થઇ હતી જેમાં યુવાનનું ઢીમ ઢાળી દેવાયુ હોવાનું સામે આવ્યુ છે. આ અંગેની વિગતો મુજબ જામનગરના ગોકુલનગરમાં રહેતા પ્રદિપસિંહ જેઠવા નામના યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરીને હત્યા નિપજાવવામાં આવતા સીટી-સી ડીવીઝનનો કાફલો દોડી ગયો હતો, હોસ્પીટલ ખાતે ટોળા એકત્ર થયા હતા અને મોડી રાત સુધી તપાસનો ધમધમાટ ચાલ્યો હતો.