આવતીકાલે નવાનગરનો સ્થાપના દિવસ, જામનગરને ૪૮૭ મું વર્ષ બેસશે
મહાનગરપાલીકા દ્વારા ખાંભી પુજન, કિવઝ કોમ્પીટીશન અને પ્રતિમાઓને પુષ્પાંજલિના કાર્યક્રમો
આવતીકાલે શ્રાવણ સુદ સાતમના નવાનગરનો સ્થાપના દિવસ છે. આથી કાલે જામનગરને ૪૮૭મું વર્ષ બેસશે. આ પ્રસંગે મહાનગરપાલીકા દ્વારા દરબારગઢ ખાતે મહાનગરપાલીકા દ્વારા ખાંભી પૂજન અને સાંજે ટાઉનહોલમાં કવીઝ કોમ્પીટીશન રાખવામાં આવી છે.
જામનગર નવાનગરના આવતીકાલે સ્થાપના દિવસ નિમિતે જામનગર મહાનગરપાલીકા દ્વારા મેયરના હસ્તે ખાંભીપુજન અને સાંજે ટાઉનહોલમાં કિવઝ કોમ્પીટીશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જામનગર મહાનગર પાલીકા દ્વારા જામનગર નવાનગરના સ્થાપના દિન અંતર્ગત સવારે ૯ વાગ્યે દરબારગઢ સર્કલ પાસે આવેલ દિલાવર સાયકલ સ્ટોર ખાતે મેયર મોનિકાબેન વ્યાસ દ્વારા ખાંભી પુજન અને રાજવીઓની જુદી જુદી પ્રતિમાઓને પુષ્પહાર અર્પણ કરવામાં આવશે.
જામનગર શહેરની ઐતીહાસીક ધરોહર સંસ્કૃતી સ્થાપતી અને મહાન વ્યકિતઓ વિશે નગરજનોમાં જાણકારી વધે તેમજ જામનગરના ગૌરવશાળી ઇતિહાસ અંગે જ્ઞાનમાં વધારો થાય તેવા શુભ હેતુસર જામનગર મહાનગરપાલીકા દ્વારા સ્થાપના દિવસ નિમિતે આવતીકાલે સાંજે ૬ વાગ્યે ટાઉનહોલ ખાતે જામનગરના ઇતિહાસ વિષય પર ઓપન જામનગર કિવઝ કોમ્પીટીશનનું પણ આયોજન કરવામાં આવેલ છે. ટાઉનહોલ ખાતે યોજાનાર આ કિવઝ કોમ્પીટીશનમાં કિવઝ માસ્ટર તરીકે આનંદ દવેની સાથે સ્ટે. કમિટી ચેરમેન ધિરેનકુમાર મોનાણી સેવા આપશે, અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટે. કમિટી ચેરમેન જામનગરની અનેક સંસ્થાઓમાં ભુતકાળમાં સેક્રેટરીથી માંડીને પ્રમુખ સુધીની જવાબદારીઓ નિભાવી ચુકયા છે અને કિવઝમાં પણ તેમની માસ્ટરી છે. જામનગર મહાનગરપાલીકા દ્વારા શહેરની તમામ સંસ્થાઓને અને નાગરીકોને ઉકત કાર્યક્રમમાં ઉપસ્થીત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.