દ્વારકા: જન્માષ્ટમી પર્વ અનુસંધાને ગોમતીઘાટ પર એનડીઆરએફની ટીમ તૈનાત
દ્વારકા: જન્માષ્ટમી પર્વ અનુસંધાને ગોમતીઘાટ પર એનડીઆરએફની ટીમ તૈનાત
September 03, 2026 12:29 PM
દ્વારકા: જન્માષ્ટમી પર્વ અનુસંધાને ગોમતીઘાટ પર એનડીઆરએફની ટીમ તૈનાત
દ્વારકામાં વહીવટીતંત્ર દ્વારા સુચારુ આયોજન : પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા: અનિચ્છનીય ઘટના ન બને તે માટે બોટ ગોઠવાઇ
વિશ્વવિખ્યાત દ્વારકાધીશ મંદિર ખાતે ઉજવાતા જન્માષ્ટમી મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા યાત્રાળુઓની સુરક્ષા તેમજ સુવિધાને પ્રાથમિકતા આપી વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જન્માષ્ટમી દરમિયાન મોટી સંખ્યામાં આવનારા ભાવિકો સુચારુ અને સુરક્ષિત રીતે દર્શન કરી શકે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
ખાસ કરીને પવિત્ર ગોમતી નદીના કાંઠે યાત્રાળુઓની ભારે ભીડ રહેતી હોવાથી અહીં વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ગોમતી ઘાટ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવાની સાથે નદીના પાણીમાં પણ એનડીઆરએફની ટીમને બોટ સહિત તૈનાત કરવામાં આવી છે. ગોમતી સ્નાન દરમિયાન કોઈ યાત્રિક અકસ્માતે પાણીમાં ડૂબી ન જાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બચાવ અને સુરક્ષા વ્યવસ્થાને સજ્જ કરવામાં આવી છે.
જન્માષ્ટમીના તહેવાર પૂર્વે દ્વારકા પોલીસ સ્ટેશનના પી.આઈ.એમ.જે. જાડેજાએ ગોમતી ઘાટ વિસ્તારની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાનું જાતે નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓને સતર્ક રહેવા અને યાત્રાળુઓની સુરક્ષાને લઈને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમની સાથે દ્વારકાના મામલતદાર અનિલ ભેડા પણ હાજર રહ્યા હતા.
જન્માષ્ટમી દરમિયાન દ્વારકામાં ઉમટનારા ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે અને ધાર્મિક ઉત્સવ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંકલિત રીતે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.