જામનગર શહેરમાં જૈન સમાજના પાવન પર્યુષણ પર્વની ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી શરૂ થઈ છે. શહેરના વિવિધ જૈન દેરાસરોમાં પર્યુષણ પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પર્યુષણ પર્વના પ્રથમ દિવસે જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં જી.પી.ઓ. પોસ્ટ ઓફિસ પાસે આવેલા શ્રી શેઠજી જૈન દેરાસર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દેરાસર પરિસરને રંગબેરંગી અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવતાં સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું હતું. આ પ્રસંગે દેરાસરમાં ભગવાનની મનમોહક ભવ્ય આંગી કરવામાં આવી હતી. સુંદર શણગાર અને કલાત્મક આંગીના કારણે ભગવાનના અદ્ભુત દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર દેરાસર પરિસરમાં ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. પર્યુષણ પર્વના પાવન દિવસોમાં દેરાસર ખાતે ભગવાનની પૂજા-અર્ચના, દર્શન તથા વિવિધ ધાર્મિક અને ભાવનાસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા ભક્તિભાવપૂર્વક ધાર્મિક આરાધના કરવામાં આવી રહી છે. પર્યુષણ પર્વના આગમન સાથે જામનગરના જૈન દેરાસરોમાં ભક્તિ, આરાધના અને આત્મશુદ્ધિનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.