BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગેશ્વર રોડ પર અકસ્માતમાં પીજીવીસીએલ કર્મચારીનું મોત

  • September 01, 2026 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગેશ્વર રોડ પર અકસ્માતમાં પીજીવીસીએલ કર્મચારીનું મોત

ગ્રીન ડિવાઈડર પરના ઊંચા હાઈલાઈટર ફરી બન્યા જીવલેણ! અગાઉની ચેતવણીઓ છતાં તંત્ર મૌન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગેશ્વર રોડ પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં પીજીવીસીએલના કર્મચારી દિપુભાઈ નાયાણીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજતાં શોક સાથે તંત્રની બેદરકારી સામે પણ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.   

પ્રાપ્ત વિગતો મુજબ, પીજીવીસીએલમાં ફરજ બજાવતા દિપુભાઈ નાયાણી લંચ બ્રેક દરમિયાન રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પુરઝડપે આવી રહેલી બાઈકની અડફેટે આવ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, નાગેશ્વર રોડ પર હાઈવે વચ્ચે આવેલા ગ્રીન ડિવાઈડર પર લગાવવામાં આવેલા અત્યંત ઊંચા હાઈલાઈટરો માર્ગ સલામતી માટે ગંભીર જોખમ બની રહ્યા છે. ડિવાઈડરની બીજી તરફથી આવતું વાહન આ હાઈલાઈટરોના કારણે દેખાતું ન હોવાથી રોડ ક્રોસ કરતા રાહદારીઓ અને વાહનચાલકોને સામેનો ટ્રાફિક દેખાતો નથી અને અચાનક અકસ્માત સર્જાવાની સ્થિતિ ઊભી થાય છે.

ફરી એક વખત આ ગ્રીન ડિવાઈડર પરના ઊંચા હાઈલાઈટરોના કારણે એક જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનો સ્થાનિકોમાં આક્રોશ છે. અગાઉ પણ આ જ સમસ્યાને લઈને અનેક અકસ્માતોની ઘટનાઓ બની ચૂકી છે અને આ અંગે આજકાલ અખબાર માં વારંવાર સમાચાર પ્રસિદ્ધ થયા બાદ પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સતત રજૂઆતો અને ચેતવણીઓ છતાં તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હવે વધુ એક વ્યક્તિનો જીવ ગયા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે, શું તંત્ર કોઈ વધુ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગ્રીન ડિવાઈડર પરના ઊંચા હાઈલાઈટરોને કારણે બાજુના રોડ પર કોઈ વાહન આવી રહ્યું હોય તો તે સમયસર નજરે પડતું નથી. આ દૃશ્ય અવરોધના કારણે છેલ્લા કેટલાક સમયથી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
​​​​​​​
​​​​​​​આ જીવલેણ અકસ્માત બાદ સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે કે, માર્ગ સલામતીના નામે જ લોકોના જીવ માટે જોખમ બની રહેલા ગ્રીન ડિવાઈડર પરના ઊંચા હાઈલાઈટરો તાત્કાલિક દૂર કરવામાં આવે અને જવાબદાર તંત્ર દ્વારા કોઈ વધુ જાનહાનિ થાય તે પહેલાં કાયમી અને અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application