જામનગરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાની તૈયારી શરૂ, પ્લોટના માર્કીંગ કરાયા
ચાર પ્લોટનું ગુંચવાયેલું કોકડું છેક સુધી ન ઉકેલાતા આ પ્લોટ ખુલ્લા રહેશે
મેદાનમાંથી અનઅધિકૃત દબાણ દૂર કરાયા: મેળાનો વીમો હજુ પ્રક્રીયામાં અટવાયેલો
જામનગરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળાની તૈયારી મનપા દ્વારા શરૂ કરવામાં આવી છે. આજરોજ પ્લોટની માપણી અને માર્કીંગની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી હતી. ચાર પ્લોટનું ગુંચવાયેલું કોકડું છેક સુધી ન ઉકેલાતા આ પ્લોટ ખુલ્લા રહેશે. મેદાનમાંથી અનઅધિકૃત દબાણ દૂર કરાયા છે. જો કે, મેળાનો વીમો હજુ પ્રક્રીયામાં અટવાયુેલો છે.
જામનગરમાં મહાનગરપાલીકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં તા.૧ થી ૧૧ સપ્ટેમ્બર સુધી ૧૧ દીવસ શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં નાના-મોટા ૪૩ પ્લોટ માટે મહાનગરપાલીકા દ્વારા ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૩૫ પ્લોટસ માટે ઓફલાઇન અને ૮ મોટા પ્લોટ માટે ઓનલાઇન ટેન્ડર મંગાવામાં આવ્યા હતાં. ૩૫ પ્લોટ માટે કુલ ૮૮ ઓફલાઇન ટેન્ડર ભરાયા હતાં. આ ટેન્ડર ખોલવાની પ્રક્રીયામાં ફુડઝોનના ૬ પ્લોટ તથા પોપર્કોનના એક પ્લોટ માટે સીંગલ ટેન્ડર આવતા ખોલવામાં આવ્યા ન હતાં. જયારે મશીન મનોરંજનના ૮ પ્લોટના ટેન્ડર કે જે રૂ.૫ લાખથી વધુના હોય ઓનલાઇન મંગાવામાં આવ્યા હોય તે ગત શુક્રવારે સવારે ખોલવાના હતાં. પરંતુ આ પ્રક્રીયા થઇ શકી ન હતી. આથી ભારે મથામણ બાદ ટેન્ડરનું ગુંચવાયેલુ કોકડું ઉકેલવા અને અન્ય કોઇ વિવાદ ન થાય તે માટે મહાનગરપાલીકાએ જે ૧૬ પ્લોટ બાકી છે તેની ઓપન કરી હતી.
જો કે, ટેન્ડર અને ઓપન હરાજી બાદ પણ મશીન મનોરંજનના સૌથી મોટા એક, આઇસક્રીમના બે અને ફુડઝોનના એક પ્લોટનું ગુંચવાયેલું કોકડું ન ઉકેલાતા આ ચારેય પ્લોટ ખુલ્લા રહેશે. બીજી બાજુ મનપા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આજરોજ સવારે મેદાનમાં પ્લોટની માપણી અને માર્કીંગની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી હતી. તે પૂર્વે મેદાનમાંથી અનઅધિકૃત દબાણ પણ દૂર કરાયા હતાં.