જામનગર જિલ્લામાં તા.૧૫ ઓગસ્ટ સુધી માછીમારી માટે કે અન્ય હેતુસર દરિયામાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું
જામનગર જિલ્લાના જુદાજુદા બંદરો પરથી માછીમારો માછીમારી માટે દરિયામાં જાય છે. સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સંબંધે સમુદ્રમાં રહેલ આવા માછીમારોને ચેતવણી પહોંચાડવી શક્ય હોતી નથી. સામાન્ય રીતે જૂન માસથી દર વર્ષે દરિયો તોફાની થઈ જાય છે. મત્સ્યોદ્યોગ ખાતા તથા પોર્ટ ઓફિસરશ્રીઓ દ્વારા માછીમારોને આવી સીઝનમાં સમુદ્રમાં માછીમારી માટે જવા પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનઅધિકૃત રીતે કોઈ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યો જાય અને વાવાઝોડા, વરસાદ કે ભારે પવનના કારણે સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં આવા સમુદ્રમાં ગયેલ માછીમારોના જાનનું જોખમ ઊભું થવાની સંભાવનાઓ નકારી શકાય તેમ ન હોય અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જામનગર દ્વારા પ્રતિબંધાત્મક હુકમો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જે મુજબ જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રીક એરિયામાંથી કોઈપણ માછીમારોએ કે અન્ય વ્યક્તિઓએ તા.૧૫ઓગસ્ટ સુધી માછીમારી માટે કે અન્ય હેતુસર સમુદ્રમાં કે ક્રીક એરિયામાં જવું નહીં અને કોઈપણ બોટની અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામું પોર્ટ ઉપર આવતા વ્યાપારીક જહાજોને, લશ્કરી દળો, અર્ધલશ્કરી દળો, પોલીસ દળો, ગુજરાત મેરિટાઈમ બોર્ડની બોટો, સક્ષમ અધિકારી દ્વારા અવર જવર કરવા માટે અધિકૃત કરવામાં આવેલ પેસેન્જર બોટો, નોન મોટરાઈઝ્ડ ક્રાફ્ટ (લાકડાની બિન યાંત્રિક એક લાકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડિયા માછીમારોને લાગુ પડશે નહી.
આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે. તેમ જાહેરનામાંમાં જણાવવામાં આવ્યું છે.