BREAKING NEWS

“લોખંડી તાળામાં બંધ જામનગર” – સાંઢીયા પુલ ફાટક પર તંત્રની બેદરકારીથી જનજીવન ઘૂંટાયું

  • May 04, 2026 10:05 AM 

“લોખંડી તાળામાં બંધ જામનગર” – સાંઢીયા પુલ ફાટક પર તંત્રની બેદરકારીથી જનજીવન ઘૂંટાયું

૧ કલાક સુધી બંધ ફાટક, ટ્રાફિક સંપૂર્ણ ઠપ્પ – રજૂઆતો બેહાલ, તંત્ર નિષ્ફળ; લોકોમાં ઉગ્ર આક્રોશ

જામનગર શહેરના પાણાખાણ વિસ્તારમાં સાંઢીયા પુલ નજીક આવેલ રેલ્વે ફાટક હવે માત્ર અવર-જવરનો માર્ગ નથી રહ્યો, પરંતુ તંત્રની બેદરકારીનું જીવંત પ્રતિક બની ગયો છે. તાજેતરમાં ફરી એકવાર લગભગ એક કલાક સુધી ફાટક બંધ રહેતા સ્થાનિકો તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફાટક બંધ થતાં જ બંને બાજુ ટ્રાફિકના લાંબા થપ્પા લાગી જતા સમગ્ર માર્ગ વ્યવસ્થા સંપૂર્ણ રીતે ઠપ્પ બની ગઈ હતી અને જનજીવન ઘૂંટાઈ ગયું હતું.

સ્થાનિકોના જણાવ્યા મુજબ એક પછી એક ટ્રેનો પસાર થતી રહેવાના કારણે ફાટક લાંબા સમય સુધી બંધ જ રહે છે અને ક્યારે ખૂલશે તેનો કોઈ સ્પષ્ટ અંદાજ પણ રહેતો નથી. પરિણામે આ સ્થળ હવે માર્ગ નહીં પરંતુ “જનતા માટે બંદીગૃહ” બની ગયું હોવાનો કટાક્ષ લોકો કરી રહ્યા છે. વધુમાં, સ્થળ પર હાજર ફાટક મેનના વર્તન સામે પણ લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે, જે પહેલેથી જ વિકટ પરિસ્થિતિને વધુ ઉગ્ર બનાવે છે.

આ પ્રશ્ન અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રેલ્વે તંત્ર તેમજ રાજકોટ ડિવિઝન સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જે તંત્રની ઉદાસીનતા અને નિષ્ક્રિયતાને ઉજાગર કરે છે. વિકાસના દાવાઓ વચ્ચે આવી મૂળભૂત સમસ્યાઓ યથાવત્ રહેવી એ માત્ર નિષ્ફળતા નહીં પરંતુ જાહેર જનતાની અવગણના સમાન છે.

સ્થાનિક નાગરિકોએ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ઓવરબ્રિજ અથવા અન્ડરપાસ જેવી સુવિધાઓ તાત્કાલિક ઉભી કરવાની માંગ ઉઠાવી છે. જો હવે પણ તંત્ર જાગશે નહીં તો આવનારા સમયમાં જનતા દ્વારા ઉગ્ર વિરોધ અને આંદોલનની ચેતવણી આપવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News