જામનગરના ટાઉનહોલ ખાતે તા.14 થી તા.21 ઓગસ્ટ સુધી યોજાશે મહિલા આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરતો “રાખી મેળો-2026”
પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા આવતીકાલે રાખી મેળાનું ઉદ્ઘાટન કરશે
જામનગર તા. 13 ઓગસ્ટ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે જામનગર ખાતે “રાખી મેળા-2026”નું આયોજન કરવામાં આવ્યું છે.
મહિલાઓ દ્વારા નિર્મિત હસ્તકલાની અનોખી કૃતિઓ તેમજ રોજિંદા ઉપયોગની વિવિધ વસ્તુઓને પ્રોત્સાહન આપવા અને મહિલા કારીગરોને આત્મનિર્ભરતા તથા રોજગારી માટે વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાખી મેળાનું ઉદ્ઘાટન આવતીકાલ તા.14 ઓગસ્ટના રોજ સાંજે 5:00 કલાકે જામનગરના ટાઉન હોલ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે કરવામાં આવશે.
મેળામાં મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ પ્રકારની રાખડીઓ, હસ્તકલા ઉત્પાદનો, ગૃહઉપયોગી વસ્તુઓ અને પરંપરાગત કળાકૃતિઓનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે. આ મેળો તા. 14 ઓગસ્ટથી 21 ઓગસ્ટ, 2026 સુધી દરરોજ સવારે 11:00 કલાકથી રાત્રે 10:00 કલાક સુધી જનતા માટે ખુલ્લો રહેશે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જામનગરના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહિલા સશક્તિકરણ અને સ્થાનિક હસ્તકલાને પ્રોત્સાહન આપતા આ રાખી મેળાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.