ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને લાગણીના પર્વ એવા રક્ષાબંધનની જામનગર જિલ્લા જેલ ખાતે પણ વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં રહેલા કેદી ભાઈઓને તેમની બહેનો રાખડી બાંધી શકે તે માટે જેલ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
જામનગર જિલ્લા જેલના સુપ્રિટેન્ડેન્ટ બલભદ્રસિંહ રાયજાદાની આગેવાની હેઠળ રક્ષાબંધન પર્વની ઉજવણી માટે વિશેષ આયોજન કરાયું હતું. આ પ્રસંગે દૂર-દૂરથી બહેનો પોતાના જેલમાં રહેલા ભાઈઓને રાખડી બાંધવા માટે જામનગર જિલ્લા જેલ ખાતે પહોંચી હતી.
પરિવારથી દૂર જેલમાં રહેલા ભાઈઓની કાંડે જ્યારે બહેનોએ રાખડી બાંધી ત્યારે જેલ પરિસરમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. બહેનોએ ભાઈઓનું મોં મીઠું કરાવી તેમના લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે પ્રાર્થના કરી હતી.
બીજી તરફ, ભાઈઓએ પણ પોતાની બહેનોને આશીર્વાદ આપીને ભાઈ-બહેનના આ પવિત્ર સંબંધને વધુ ગાઢ બનાવ્યો હતો. રક્ષાબંધનના પર્વે જેલની ચાર દીવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.