રિલાયન્સમાં આજે થર્ટીફર્સ્ટની જાજરમાન ઉજવણી: ભવ્ય આતશબાજી
આજે એક તરફ શહેરમાં જુદા-જુદા સ્થળે નવા વર્ષનું વેલકમ કરાશે, બીજી તરફ રિલાયન્સની ટાઉનશીપમાં વધુ એક વખત આજે રાત્રે થર્ટીફર્સ્ટની જાજરમાન ઉજવણી થવાની છે અને ભવ્ય આતશબાજીની રમઝટ બોલશે, બોલીવુડના સીતારાઓ પણ ચમકશે અને સંગીતની સુનામી ફુંકાશે, તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે અને રિલાયન્સના કર્મચારીઓને વર્ષ આખુ યાદ રહી જાય એવો કાર્યક્રમ આજે અંદર થવાનો છે.
રીલાયન્સમાં ન્યુ યરની ગ્રાન્ટ ઇવેન્ટને અનુલક્ષીને બોલીવુડ સ્ટાર સલમાનખાન, રીતેશ દેશમુખ, જેનેલીયા, ક્રીકેટર સૂર્યકુમારનું જામનગર એરપોર્ટ પર આગમન થયું હતું. એરપોર્ટ પર સેલીબ્રીટીઓને નિહાળવા દર્શકોએ પડાપડી કરી હતી. આજે પણ જાણીતા કલાકારો અને મોંઘેરા મહેમાનોના આગમની શકયતા નકારી શકાતી નથી. રીલાયન્સની મહેમાનગતિ માણી રહેલા ક્રીકેટર રોહીત શર્માએ ટાઉનશીપમાં આવેલા મંદીરમાં પૂજા કરી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ રીલાયન્સમાં ગુડબાય-૨૦૨૫ અને નવા વર્ષ-૨૦૨૬ને વેલકમની ગ્રાન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આથી એકપછી એક બોલીવુડ સ્ટાર અને ક્રીકેટર અને અન્ય મોંઘેરા મહેમાનો રીલાયન્સનું આંગણું શોભાવવા આવી રહ્યા છે. જેના કારણે જામનગર એરપોર્ટ પર સેલીબ્રીટીસનું આવાગમન વઘ્યું છે. ત્યારે મંગળવારે સાંજે બોલીવુડના જાણીતા કલાકાર અને ભાઇજાનથી જાણીતા સલમાનખાન અને તેની સ્ત્રી મીત્ર લુલીયા વંતુર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં. તદઉપરાંત સલમાન ખાનની બહેન અર્પિતા અને બોલીવુડના પાવર કપલ અભિનેતા રીતેશ દેશમુખ અને જેનલીયા પણ પરિવાર સાથે આવ્યા હતાં. ત્યારબાદ ક્રીકેટર સૂર્યકુમાર યાદવ પરિવાર સાથે આવ્યા હતાં અને ખાસ અંદાજમાં જોવા મળ્યા હતાં. બોલીવુડ સ્ટાર અને ક્રીકેટરોની ઝલક નિહાળવા અને ઓટોગ્રાફ મેળવવા એરપોર્ટ પર દર્શકોએ રીતસર પડાપડી કરી હતી. એરપોર્ટથી તમામ સેલીબ્રીટીઓ કારના કાફલા સાથે રીલાયન્સ જવા રવાના થયા હતાં.