જામનગરમાં શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારોહના ઇ-નિમંત્રણમાંથી રિવાબા જાડેજાનું નામ ગાયબ
શિક્ષણમંત્રીના નામની બાદબાકી શું કામ...?:
તા. ૫ શનિવારના રોજ યોજાશે કાર્યક્રમ: તરેહ-તરેહની ચર્ચા...
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત તાલુકા-જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારોહ માટે અપાયેલા ઇ-નિમંત્રણ કાર્ડમાં ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાના નામની બાદબાકી થતાં ભારે આશ્ર્ચર્ય સર્જાયું છે, આ ભૂલ થઇ છે કે, પછી કોઇ કારણે રિવાબાનું નામ લખવામાં નથી આવ્યું, તેને લઇને તરેહ-તરેહની ચર્ચા જાગી છે.
તાલુકા-જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ વર્ષ-૨૦૨૬ના મથાળા સાથે મોબાઇલમાં અપાયેલા ઇ-આમંત્રણમાં આગામી તા. ૫-૯ ને શનિવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે એલ.જી. હરીયા સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાવાનો છે, અને નિમંત્રક તરીકે શિક્ષણ પરિવાર લખવામાં આવ્યું છે.
આમંત્રણ કાર્ડમાં પ્રેરક ઉપસ્થિતિમાં સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, મેયર મોનીકાબેન વ્યાસ, ધારાસભ્ય રાઘવજી પટેલ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ધારાસભ્ય મેઘજી ચાવડા, ધારાસભ્ય હેમંત ખવા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વર્ષાબેન માકડીયા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમ કકનાણીના નામ આપવામાં આવ્યા છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રીના નામની બાદબાકી કયા કારણે કરવામાં આવી...? એ હાલની તકે સમજાતું નથી, આ આમંત્રણ મોબાઇલમાં અપાયા બાદ તરેહ-તરેહની ચર્ચા જાગી છે, આગામી દિવસોમાં આ બાબતને લઇને વિવાદ પણ થઇ શકે છે, આ અહેવાલની સાથે ઇ-નિમંત્રણ કાર્ડની નકલ સાથે આપવામાં આવી છે.