જામનગર: ખોડિયાર કોલોનીથી મેઇન રોડ ૮૦ ફૂટ શાક માર્કેટ નીલકમલ સોસાયટી સુધીનો રોડ બંધ
સાત રસ્તા સર્કલ, જનતા ફાટકથી ખોડિયાર કોલોની ૮૦ ફૂટ રોડ, જગડીયા કેનાલ સુધી આરસીસી બોકસ કેનાલનું કામ ચાલુ થતાં રોડ ભારે વાહનો માટે બંધ કરાયો
જામનગર મહાનગરપાલિકા દ્વારા એક તરફ ખોડિયાર કોલોનીમાં ખોડિયાર મંદિરથી દિગ્જામ સર્કલ સુધીના રસ્તાને સીકસલેન બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે સાત રસ્તા સર્કલથી જનતા ફાટકથી ખોડિયાર કોલોની ૮૦ ફૂટ રોડ, જગડીયા કેનાલ સુધી આરસીસી બોકસ કેનાલનું કામ ચાલુ થતાં રોડ ભારે વાહનો માટે બંધ કરાયો છે અને આજથી આ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ખાસ કરીને ભારે વાહનો માટે આ રસ્તો બંધ કરવામાં આવતા ટ્રાફીક ઉપર પણ તેની અસર થઇ છે. મ્યુ. કમિશ્નરે હજુ બે દિવસ પહેલા એક જાહેર નોટીસ આપીને તા. ૧પ જુન સુધી બોકસ કેનાલના કારણે આ રસ્તો બંધ કરવા જણાવ્યું હતું. વૈકલ્પિક ભાગરૂપે ચિત્રકુટ સોસાયટીના આંતરિક રસ્તા અને રાજ્ય પુરોહિત વિદ્યાર્થી ભવનથી નિલકમલ સોસાયટીના આંતરિક રસ્તાઓ વાહનો માટે ખુલ્લા કરવામાં આવ્યા છે.
ખોડિયાર કોલોનીનો સીકસલેન રસ્તો લગભગ શરૂ થયો છે ત્યારે એકાદ વર્ષમાં આ કામ પુરૂ થશે, તેમ કોર્પોરેશનના અધિકારીઓ કહે છે ત્યારે એક તો દરરોજ સવારના બે કલાક અને સાંજે પ થી ૮ દરમ્યાન આ રસ્તા ઉપરથી ખાનગી બસો અને ભારે વાહનો પસાર થાય છે ત્યારે ટ્રાફીકની સમસ્યા ખૂબ જ થાય છે, જેના કારણે લોકોને પણ પરેશાન થાય છે, કેટલીક વાર ટ્રાફીકજામ થઇ જતાં પરેશાન થાય છે.
સીકસલેન રોડ બની ગયા બાદ આ રસ્તો પહોળો થઇ જશે, જેના કારણે ટ્રાફીક સમસ્યામાં ભારે ઘટાડો થશે, અગાઉ લાખો રૂપિયાના ખર્ચે ખોડિયાર મંદિરથી આગળ જતાં બ્યુટીફીકેશનના નામે બાંધકામ કરાયું હતું, આ ખર્ચ પાણીમાં ગયો છે અને હવે અગાઉ કરેલું બાંધકામ તોડી નાખવામાં આવ્યું છે અને ફરીથી સીકસલેન રસ્તા માટે કામગીરી શરૂ કરાઇ છે. આરસી બોકસ કેનાલનું કામ શરૂ થયું હતું, રસ્તા પર બેરીકેટ પણ મુકી દેવામાં આવી છે, આમ હજુ પણ ખોડિયાર કોલોનીનો રસ્તો ભારે ટ્રાફીકમય રહેશે.