જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ગ્રામીણ માર્ગ માળખાને મજબૂત કરવા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાઈ
કાલાવડ તાલુકામાં રૂ. ૧૬૦ લાખના ખર્ચે માઇનોર બ્રિજનું કામ સફળતાપૂર્વક પૂર્ણ: લાલપુર તાલુકામાં રૂ. ૨૦૦ લાખના ખર્ચે રોડ રિસરફેસિંગ કાર્ય પ્રગતિ હેઠળ
જામનગર તા.૧૨, જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે વાહનવ્યવહાર વધુ સગવડભર્યો અને સુરક્ષિત બનાવવાના હેતુથી માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), જામનગર દ્વારા માર્ગ સુધારણા તથા પુલ નિર્માણના કામોને વેગ આપવામાં આવ્યો છે. વિભાગ દ્વારા તાજેતરમાં કાલાવડ અને લાલપુર તાલુકામાં માર્ગ માળખાકીય સુવિધાઓ સુધારવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે.
કાલાવડ તાલુકાના મકાજી–મેઘપર–રોજીયા–વિભાણીયા રોડ પર માઇનોર બ્રિજનું કામ પૂર્ણ:કાલાવડ તાલુકામાં આવેલ આશરે ૫.૦૦ કિ.મી. લંબાઈ ધરાવતા મકાજી–મેઘપર–રોજીયા–વિભાણીયા ગ્રામ્ય માર્ગ પર વર્ષો જૂનો કોઝવે અત્યંત જર્જરિત હાલતમાં હતો. ચોમાસા દરમિયાન ભારે વરસાદના સમયે આ કોઝવે પરથી પાણી ઓવરટોપ થવાને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ જતો હતો અને સ્થાનિક ગ્રામજનોને હાલાકી ભોગવવી પડતી હતી.
આ સમસ્યાના કાયમી ઉકેલ માટે માર્ગ અને મકાન વિભાગ, જામનગર દ્વારા સ્થળ સર્વે કરી જૂના કોઝવેના સ્થાને નવો માઇનોર બ્રિજ બનાવવા સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી. દરખાસ્ત મંજૂર કરી ૭.૦૦ મીટરના ૮ ગાળા ધરાવતા માઇનોર બ્રિજ માટે રૂ.૧૬૦.૦૦ લાખનો જોબ નંબર ફાળવવામાં આવ્યો હતો.તમામ જરૂરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વિભાગીય દેખરેખ હેઠળ આ બ્રિજ નિર્માણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. બ્રિજ કાર્યરત થવાથી હવે ચોમાસામાં પાણીના ભરાવા કે ઓવરટોપિંગની સમસ્યાનો કાયમી અંત આવ્યો છે અને આસપાસના ગામોના વાહનચાલકો તથા ગ્રામજનો માટે સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત થઈ છે.
લાલપુર તાલુકાના ધરમપુર ટુ જોઈન એસ.એચ. રોડનું રિસરફેસિંગ કાર્ય પ્રગતિ હેઠળ:
લાલપુર તાલુકામાં આવેલ આશરે આશરે ૪.૦૦ કિ.મી.ની લંબાઈ ધરાવતા ધરમપુર ટુ જોઈન એસ.એચ. રોડ પણ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતો, જેના કારણે વાહનવ્યવહારમાં મુશ્કેલી પડતી હતી. આ માર્ગની ગુણવત્તા સુધારવા તથા વાહનવ્યવહાર સુગમ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૦૦.૦૦ લાખના ખર્ચે રિસરફેસિંગ કાર્ય માટે જોબ નંબર ફાળવવામાં આવ્યો છે.
માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા નકશા-અંદાજો તૈયાર કરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને પસંદગી પામેલ ઇજારદારને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. હાલમાં આ રોડના રિસરફેસિંગ અને પુનઃનિર્માણની કામગીરી પૂર્ણ ઝડપથી પ્રગતિ હેઠળ છે. આ કામ પૂર્ણ થતાં જ સ્થાનિક ગ્રામજનો અને આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકોને ગુણવત્તાયુક્ત અને સીમલેસ રસ્તાની સુવિધા પ્રાપ્ત થશે.