જામનગરના કૃષ્ણનગરમાં માર્ગનું કામ ટલ્લે, રબડીરાજથી રહેવાસીઓ ત્રાહીમામ
સમસ્યા: મનપાની ચૂંટણી પૂર્વે રસ્તાનું ખોદકામ થયા બાદ નવો રોડ બનાવાના ફકત આશ્ર્વાસનો આપવામાં આવી રહ્યાની લોકોની ફરિયાદો
રાહદારીઓ અને વાહનચાલકોને આવાગમનમાં ભારે મુશ્કેલી: ઉબડ-ખાબડ માર્ગના કારણે અકસ્માતનો ખતરો: લોકોમાં ભારે રોષ
જામનગરમાં જનતાફાટક પાસે આવેલ કૃષ્ણનગર વિસ્તારમાં માર્ગનું કામ ટલ્લે ચડતા ચોમાસામાં રબડીરાજથી રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. મનપાની ચૂંટણી પૂર્વે રસ્તાનું ખોદકામ થયા બાદ નવો રોડ બનાવાના ફકત આશ્ર્વાસનો આપવામાં આવી રહ્યાની ફરિયાદો રહેવાસીઓમાં જોરશોરથી ઉઠી છે. ઉબડ-ખાબડ માર્ગથી રાહદારીઓ અને વાહનચાલકોને આવાગમનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આટલું જ નહીં અકસ્માતનો પણ ખતરો હોય આ વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.
જામનગરમાં જનતાફાટક પાસે આવેલા કૃષ્ણનગર શેરી નં.૩ માં ઇન્દ્રપ્રસ્થ સોસાયટી વિસ્તારમાં માર્ગની સમસ્યાની લોકોમાં જોરશોરથી ઉઠી છે. રહેવાસીઓના જણાવ્યાનુસાર આ વિસ્તારમાં મહાનગરપાલીકાની ચૂંટણી પૂર્વે માર્ગનું ખોદકામ મનપા દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી નવો રોડ બનાવામાં આવ્યો નથી. ચોમાસામાં વરસાદ પડતા આ માર્ગ પર રબડીરાજથી મુશ્કેલી બેવડાઇ છે. ઉબડ-ખાબડ માર્ગથી આવાગમનમાં ભારે મુશ્કેલી પડી રહી છે તો પાણી ભરાયેલું હોય ખાડા કયાં હોય તે દેખાતું ન હોય અકસ્માતનો ખતરો પણ ઝંળુબી રહ્યો છે.
ચારેક મહીનાથી વધુ સમયથી આ માર્ગનું ખોદકામ કરવામાં આવ્યુું છે. પરંતુ નવો રોડ બનાવાના ફકત આશ્ર્વાસનો આપવામાં આવે છે. પરંતુ નવો રોડ કયારે બનશે તે ભગવાન જાણે તેવી સ્થિતિ પ્રર્વતી રહી હોવાનું રહેવાસીઓએ ઉમેર્યું હતું. ચોમાસામાં રબડીરાજના કારણે માર્ગ પર વાહનો સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે આ માર્ગનું તાકીદે નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ રહેવાસીઓમાં જોરશોરથી ઉઠી છે.