જામનગર: ખારવા ચોકડી પાસે એસટી બસના કંડકટરને માર માર્યો
બસ જેમ તેમ હાંકો છો તેમ કહીને ચાર શખ્સો વિફર્યા : સ્ટીલનો ગ્લાસ અને ઢીકાપાટુ વડે ઇજા કરી ધમકી દીધી
ધ્રોલ ખારવા ચોકડી પાસે એસટી બસના કંડકટર પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ધ્રોલના એક સહિત ચાર સામે ફરીયાદ કરવામાં આવી છે. જેમ તેમ બસ હાંકીને અકસ્માત કરો છો તેમ કહીને શખ્સો વિફર્યા હતા અને કંડકટરને ગ્લાસ તથા ઢીકાપાટુનો માર મારીને ધમકી દીધી હતી આથી મામલો પોલીસમાં પહોચ્યો છે.
ધ્રોલના મોટા વાગુદડ ગામમાં રહેતા એસટી કંડકટર ઋત્વીકસિંહ બકુલસિંહ જાડેજા (ઉ.વ.૨૫) નામના કર્મચારીએ ધ્રોલના ગાયત્રીનગરમાં રહેતા મનિષ રાઠોડ તથા ૩ અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ગઇકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમો મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદી ઋત્વીકસિંહ કંડકટર હોય ગઇકાલે એસટી બસ ધ્રોલ-ખારવા ચોકડી પાસે રોડ ક્રોસ કરવા જતા એક બોલેરો સાથે ભટકાતા અને ફરીયાદીને બોલેરોવાળા સાથે સમાધાન થઇ જતા ત્યાર બાદ આ બાબતનો ખાર રાખીને મનિષએ ફરીયાદીને તમો એસટીવાળા જેમ ફાવે તેમ બસ હાંકો છો, એકસીડન્ટ કરો છો તેમ કહીને ફરીયાદીના માથામાં સ્ટીલનો ગ્લાસ મારી તેની સાથે રહેલા ૩ અજાણ્યા ઇસમોએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી આ ફરીયાદના આધારે હેડ કોન્સ કુબાવત દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.