જામનગર: સીટી-એ ડિવિઝન દ્વારા ૬.૫૬ લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને સુપ્રત કરાયો
જામનગર શહેરના એ.ડિવિઝન પોલીસ દ્વારા નાગરિકોના ગુનામાં ચોરાઈ ગયેલા અથવા કબ્જે કરવામાં આવેલા મુદ્દામાલને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી મૂળ માલિકોને પરત આપવાના હેતુથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈનીના માર્ગદર્શન અને જિલ્લા ક્રાઇમ કોન્ફરન્સમાં આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને તેમજ જામનગર શહેર નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એમ. ડોડીયા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૫(એ), ૩૩૧(૩) અને ૩૩૧(૪) મુજબના ગુનામાં આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી સોનાના દાગીના તથા રોકડ રકમ કબ્જે કરવામાં આવી હતી. આ ગુનાના ફરિયાદી અલ્તાફભાઈ ગનીભાઈ સમા, રહે. સનમ સોસાયટી, ખફી હોલ પાસે, એસ.ટી. ડિવિઝન સામે, જામનગર દ્વારા કોર્ટમાં મુદ્દામાલ છોડાવવા અરજી કરવામાં આવતા કોર્ટના હુકમ અનુસાર તેમને કુલ રૂ. ૪,૦૬,૧૦૦ની કિંમતના સોનાના દાગીના સહીસલામત પરત સુપ્રત કરવામાં આવ્યા હતા.
તે જ રીતે, સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૫(એ) અને ૩૩૧(૩) મુજબના ગુનામાં આરોપીઓ પાસેથી કબ્જે કરાયેલા સોનાના દાગીના તથા રોકડ રકમ અંગે ફરિયાદી વર્ષાબેન પ્રભુદાસભાઈ લુક્કા, રહે. મોહનનગર મેઈન રોડ, બી-૫૦, જય જલારામ મકાન, જામનગર દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવતા કોર્ટના આદેશ અનુસાર તેમને કુલ રૂ. ૨,૫૦,૫૦૦ કિંમતના સોનાના દાગીના સહીસલામત પરત આપવામાં આવ્યા હતા.