ખંભાળિયા શહેરના બેઠક રોડ પાસે આવેલ લક્ષ્મીનારાયણ મંદિરની ગૌશાળામાં મંગળવારે એક ગૌમાતા અચાનક કૂવામાં પડી જતાં ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ હતી. આ બનાવની જાણ થતાં અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તાત્કાલિક આ સ્થળે પહોંચી હતી. ત્યાર બાદ નગરપાલિકાના ફાયર વિભાગના જવાનોના સહયોગથી સંયુક્ત રીતે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પછી ભારે જહેમત બાદ ગાયને કૂવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. રેસ્ક્યુ દરમિયાન તમામ જરૂરી સાવચેતી રાખવામાં આવી હતી અને ગૌમાતાનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. આ કામગીરીમાં સહયોગ બદલ સ્થાનિક રહીશોએ નગરપાલિકાના ફાયર વિભાગના જવાનો તથા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.