જામનગર જિલ્લા પંચાયતની કારોબારીના ચેરમેન પદે સુનિલ રાઠોડની વરણી
આજે જનરલ બોર્ડની બેઠક પુરી થયા બાદ સમિતિઓના ચેરમેનની વરણી: બાંધકામ સમિતિમાં વનિતાબેન ઉઘાડ, અપીલ સમિતિમાં રંજનબેન જીવાણી, શિક્ષણ સમિતિના ચેરમેનની વરણી મોકુફ
જામનગર જિ.પંચાયતની સામાન્ય સભામાં કોઇ ખાસ એજન્ડા હતા નહીં તે પુરી થયા બાદ તરતજ પંચાયતના કારોબારી સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જેમાં સુનિલભાઇ હીરજીભાઇ રાઠોડને ચેરમેન પદે નિમવામાં આવ્યા હતા., જયારે બાંધકામ સમિતિમાં ચેરમેન પદે વનિતાબેન રાજેશભાઇ ઉધાડની નિમણુંક કરવામાં આવી છે.
જનરલ બોર્ડ પુરુ થયા બાદ પ્રમુખ રંજનબેન જીવાણી તથા અન્ય સભ્યો વિવિધ સમિતિના ચેરમેન માટે ચેમ્બરમાં ગયા હતા અને સૌ પ્રથમ કારોબારી સમિતિની વરણી કરાઇ હતી જેમાં સુનિલભાઇનું નામ જાહેર થયા બાદ તમામ સભ્યોએ તેમને હારતોરા કર્યા હતા. શિક્ષણ સમિતિના ચેરમેન પદનું કોકડુ ગુંચવાયુ છે એટલે થોડા દિવસ બાદ તેમની નિમણુંક થશે. જયારે હોદાની રૂએ અપીલ સમિતિમાં પ્રમુખ રંજનબેન જીવાણીને ચેરમેન પદ સોંપાયુ હતું. આ લખાય છે ત્યારે બપોરે ૧.૧૫ વાગ્યે આરોગ્ય સામાજીક ન્યાય અને મહિલા બાળ વિકાસના ચેરમેનના નિમણુંકની પ્રક્રિયા ચાલી રહી છે.
આજે બપોરે ૧૧ વાગ્યે જિ.પંચાયતના પ્રમુખ આર.ડી. જીવાણીના અઘ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ડીડીઓ, ના.ડીડીઓ, ઉપપ્રમુખ સહિતના અધિકારી, પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ૨૦૨૬-૨૭ના વર્ષની બીજી સામાન્ય સભામાં થયેલા ઠરાવોની અમલવારી અંગે બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ જિ.પંચાયતના શિક્ષણ સમિતિની રચના કરવા સુચિત ઠરાવ કરાયો હતો અને ત્રીજા એજન્ડામાં પંચાયતના સ્વ.ભંડોળ સદર ૧,૫,૮ મીટીંગ અને રીફ્રેસમેન્ટનો મંજુરીનો ઠરાવ પાસ કરાયો હતો. જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન પદે રાજેશભાઇ મકવાણા અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે લક્ષ્મીબેન વારસકીયાની વરણી થઇ છે.