ખંભાળિયા: સલાયામાં બે ઘરમાં ખાતર પાડતા તસ્કરો
દાગીના-રોકડ મળી કુલ ૫૮,૬૪૦નો મુદ્દામાલ ચોરાયો
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ડી.વી. નગર વિસ્તારમાં રહેતા જુલેખાબેન અને અલી અસગરભાઈ ચબા નામના ૩૦ વર્ષના મુસ્લિમ માર્કેટ મહિલાના ઘરમાં શુક્રવારે રાત્રિના સમયે તસ્કરોએ પ્રવેશ કરી, તેમના ઘરના કબાટનું તાળું તોડી નાખ્યું હતું.
આ પછી આ કબાટમાં રાખવામાં આવેલા સોના ચાંદીના રૂ. ૩૭,૮૮૦ ની કિંમતના વિવિધ દાગીના તેમજ રૂ. ૬૦ ની રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૩૭,૯૪૦ ના મુદ્દામાલની ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો છે.
અન્ય એક બનાવમાં આ જ વિસ્તારમાં રહેતા સમીરાબેન સદામભાઈ દાઉદભાઈ ચબા નામના ૨૬ વર્ષના મુસ્લિમ વાઘેર મહિલાના ઘરમાંથી પણ આ જ સમયે કોઈ તસ્કરોએ અનધિકૃત રીતે પ્રવેશ કરી અને કબાટમાં રાખવામાં આવેલા રૂપિયા ૨૦,૭૦૦ ની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા રૂપિયા ૧,૫૦૦ ની રોકડ મળી, કુલ રૂપિયા ૨૨,૨૦૦ નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જેને અનુલક્ષીને પોલીસે ધોરણસર ગુનો નોંધી, તસ્કરોને ઝડપી લેવામાં માટેના ચક્રો ગતિમાન કર્યા છે.