દ્વારકા જિલ્લામાં આવકના દાખલાના આધારે કઢાવેલા આયુષ્માન કાર્ડ રિન્યૂ કરાવવા યાદી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના જે લાભાર્થીઓએ પોતાનું આયુષ્માન કાર્ડ આવકના દાખલાના આધારે કઢાવેલું હોય અને જો તે દાખલાની મુદત તા. ૩૧ માર્ચ ૨૦૨૬ ના રોજ પૂર્ણ થતી હોય, તો તેવા કાર્ડ ટૂંક સમયમાં બંધ થઈ જશે. આકસ્મિક બીમારી કે ઈમરજન્સીના સમયે કાર્ડનો ઉપયોગ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે નવો આવકનો દાખલો કઢાવીને પી.એમ.જે.એ.વાય. કાર્ડ અપડેટ કરાવી લેવું અનિવાર્ય છે. અને તે લાભાર્થી જાતે જ રિન્યુ કરી શકશે. તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા દ્વારા જણાવાયું છે.
સરકાર દ્વારા હવે આયુષ્માન કાર્ડ રિન્યુઅલ કરવાની સુવિધા સીધી લાભાર્થી પોર્ટલ પર શરૂ કરવામાં આવી છે. આ માટે કોઈ ઓપરેટર આઈડીની જરૂર રહેશે નહીં. લાભાર્થીઓ નીચે આપેલી સત્તાવાર વેબસાઈટ પર જઈને પોતાની જાતે જ કાર્ડ રિન્યુ કરી શકે છે. નવા કાર્ડ માટેની તક વધુમાં, એન.એફ.એસ.એ. (રેશનકાર્ડ) ધારકો, જી-કેટેગરી તથા ૭૦ વર્ષથી વધુ વયના નાગરિકો પણ લિંક પરથી નવા આયુષ્માન કાર્ડ બનાવી શકે છે.
આ ઉપરાંત ઈમરજન્સીના સમયની રાહ જોયા વગર પોતપોતાના આયુષ્માન કાર્ડ અપડેટ અથવા નવા બનાવી લેવા જેથી યોજના હેઠળની મફત સારવારનો લાભ અવિરત મળી રહે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામ લાયક લાભાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.