જામનગર: લાલપુરમાં ૧૩મી ઓગસ્ટે યોજાનાર તાલુકા કક્ષાની ‘તિરંગા યાત્રા’ના આયોજન અર્થે પ્રાંત અધિકારી અસવારના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત લાલપુર તાલુકામાં આગામી ૧૩મી ઓગસ્ટના રોજ યોજાનાર તાલુકા કક્ષાની ‘તિરંગા યાત્રા’ કાર્યક્રમના સુચારુ અને સફળ આયોજન અર્થે પ્રાંત અધિકારી સંજયસિંહ અસવારના અધ્યક્ષસ્થાને તાલુકા સંકલન સમિતિના તમામ અધિકારીઓ તથા સ્થાનિક પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં તિરંગા યાત્રાના નિશ્ચિત રૂટ, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા તેમજ વિવિધ તંત્રો વચ્ચેના આંતરિક સંકલન અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ કાર્યક્રમ દરમ્યાન નાગરિકોને કોઈ અગવડ ન પડે અને સમગ્ર આયોજન શિસ્તબદ્ધ રીતે સંપન્ન થાય તે માટે સંબંધિત વિભાગીય અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આ તિરંગા યાત્રામાં તાલુકાના વેપારી મંડળો, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો, યુવાનો અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાય તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમમાં તાલુકાના તમામ નાગરિકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા પ્રાંત અધિકારી તથા તાલુકા સંકલન સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે.