સલાયાના રઘુવંશી પ્રૌઢ ગૌસેવક બન્યા સાયબર ફ્રોડના શિકાર
બચત ખાતામાંથી ૩૨૫૦૦નો થયો ફ્રોડ : સાયબર ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ
સલાયાના ગૌસેવક અને સમાજસેવી હરીશભાઈ મથુરાદાસ ગોંડિયા સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. અબોલ પશુઓની સેવા કરતા આ વૃદ્ધે પોતાની બચતમાંથી કુલ છ૩૨,૫૦૦ ગુમાવ્યા છે. આ ઘટનાને પગલે સલાયામાં ભારે ચર્ચા જાગી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરના સમયે હરીશભાઈને એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે બીમારી અને હોસ્પિટલના કામનું બહાનું બતાવી, મેસેજની આપલે દ્વારા હરીશભાઈના બેંક બચત ખાતામાંથી બે ટ્રાન્ઝેક્શનમાં કુલ છ૩૨,૫૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
ફ્રોડ કરનારે હરીશભાઈની લાગણીઓનો ફાયદો ઉઠાવ્યો હતો.હરીશભાઈ ગોંડિયા વર્ષોથી ગાયો, કૂતરાઓ અને અન્ય પશુઓની સેવા કરે છે. તેઓએ અડધો દાયકા સુધી માધ્યમિક શાળામાં બાળકોને નિ:શુલ્ક શિક્ષણ પણ આપ્યું છે. નગરપાલિકામાંથી નિવૃત્ત થયા બાદ તેઓ પોતાનો સંપૂર્ણ સમય ગૌસેવા અને અબોલ પશુઓની સેવામાં વિતાવે છે. પોતાની મરણમૂડીમાંથી આટલી મોટી રકમ ગુમાવતા તેઓ હાલ ભારે તકલીફમાં મુકાયા છે.ફ્રોડ થયા બાદ હરીશભાઈએ તાત્કાલિક સલાયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને સાયબર વિભાગમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. સાયબર પોલીસે પણ આ મામલે તપાસનો દોર શરૂ કરી દીધો છે.